સિદ્ધપુરમાં માયાનગરમાં મહાદેવની મઢીમાં મંજૂરી વિના વૃક્ષોનું નિકંદન કરાયુ
સિદ્ધપુર શહેરમાં માયાનગર વિસ્તારમાં આવેલ મહાદેવની મઢી નામના સ્થળે ગુરુવારે વર્ષો જુનું આંબલીનું ઘટાદાર વૃક્ષ, આંબા, જાંબુનું ઝાડ સહિત અનેક વૃક્ષોનું કોઇપણ પ્રકારની પરવાનગી વગર જ આ સ્થળને બથાવી બેઠેલા અશોકભાઈ દ્વારા જડમૂળથી નિકંદન કરાવીને બારોબાર વેચી દેવામાં આવતા પ્રકૃતિ પૂજક સમસ્ત આદિવાસી સમાજની લાગણીને દુ:ખ પહોંચતા ઉગ્ર આક્રોશ સાથે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં પી.આઇ જે.બી આચાર્યને લેખિત રજુઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી.
વધુમાં આ સ્થળે મહાદેવનું ધાર્મિક અને પવિત્ર મંદિર આવેલ હોવાથી આ સ્થળે સ્થાનિક મહિલાઓ શ્રાવણ માસના દિવસે તેમજ અન્ય દિવસોમાં મહાદેવના મંદિરે આવીને પૂજા અર્ચના કરી દૂધ, ફુલહાર,બીલીપત્ર ચઢાવવા માટે આવતી જતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્થળ ઉપર કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા આ સ્થળને પોતાનો અડ્ડો બનાવી ગેર પ્રવૃત્તિઓ કરાતી હોવાથી આ સ્થળ ઉપર સ્થાનિક મહિલાઓ મહાદેવના મંદિરે જઈ શકતી ન હતી.