પાટણ પાલિકાના પ્રમુખની બાદબાકી કરાતી હોવાનો વિપક્ષનો આક્ષેપ
પાટણ નગરી વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને પટોળાને લઈને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થવા પામી છે ત્યારે બીજી તરફ પાટણ નગરપાલિકા તેની કામગીરીને લઈને ગુજરાતમાં પંકાવા લાગી છે.ગતરોજ પાટણ નગરપાલિકાના બાંધકામ શાખા દ્વારા શહેરના વોર્ડ નંબર-4 અને 5 માં 1.17 કરોડના ખર્ચે ટ્રીમિક્ષ રોડ બનાવવાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો પરંતુ આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ-બાંધકામ શાખાના ચેરમેન અને ભૂગર્ભ શાખાના ચેરમેનની જ બાદબાકી કરવામાં આવી હોવાનું વિપક્ષના કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. જો કે, પ્રમુખે કહ્યું હતું કે, તેઓ બહાર હોવાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા.પાટણ નગરપાલિકામાં જે ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને જે તે શાખાના ચેરમેનો તેમજ નગરપાલિકાના વહીવટી અધિકારીને કોઈપણ પ્રકારના વિશ્વાસમાં લેવામાં આવતા નથી અને કાર્યક્રમોમાં હાજર રાખવામાં પણ આવતા નથી.નગરપાલિકાના સત્તાધીશો દ્વારા હાલમાં હાથ ધરાતા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો પ્રમુખ-ઉપપ્રમુખ અને નગર પાલીકાના અધિકારીઓની જાણ બહાર નક્કી કરવામાં આવે છે તેવો વિપક્ષના સદસ્ય ભરત ભાટીયા એ આક્ષેપ કર્યો હતો. હાલમાં પાટણ નગરની સ્થિતિ લઈને નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે છાસવારે ઉભરાતી ભુગર્ભ ગટરો, ટ્રાફિકની સમસ્યા, રખડતા ઢોરની સમસ્યા, ગેરકાયદેસર બાંધકામો, રાત્રિના સમય તો મોટાભાગની સ્ટ્રીટ લાઈટો બંધ, ખાડાખૈયાવાળા રસ્તા જેવી અનેક સમસ્યાઓ પાટણના નગરજનો માટે હવે તો રોજીંદી થઈ ગઈ છે તેવું લાગે છે.તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું કે, હું સિનિયર સીટીઝનને લઈ પાંચ મહાદેવ ગઈ હતી મને ખાતમુહૂર્તના કાર્યક્રમની ખબર હતી.પણ મારો અગાઉથી કાર્યક્રમ ફિક્સ હતો એટલે હું હાજર રહી નહતી પરંતુ અમારી પાર્ટીમાં સાથે મળીનેજ કામ થાય છે.જે આક્ષેપ છે તે ખોટા છે.