શંખલપુરમાં લેઉવા પાટીદાર સમાજના 4000 વડીલોની યાત્રાનો આજ થી પ્રારંભ
ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ઐતિહાસિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા આજરોજ સાંજે બહુચરાજી તાલુકાના યાત્રાધામ શંખલપુરથી પ્રારંભ થનાર છે. દ્વારકા, સોમનાથ અને ખોડલધામની આ ત્રી દિવસીય તીર્થયાત્રામાં 4,000 થી વધુ વડીલો જોડાનાર હોય તેમના સ્વાગત વધામણા કરવા માટે શંખલપુર મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગ્રામજનોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક તીર્થયાત્રાને લઇ બહુચર માતાજીના મંદિરને રંગબેરંગી ફુગ્ગા અને રોશનીથી સજાવવામાં આવ્યું છે. તો મંદિરના ગર્ભગૃહને 5200 વર્ષ પહેલાં માતાજીના પ્રાગટ્ય સમયે વરખડીના વનમાં જેવો માહોલ હતો તેવી આબોહૂબ રચના કરવામાં આવી છે. આ તીર્થયાત્રાઓનું 115 થી વધુ લક્ઝરીઓ અને 250 થી વધુ ગાડીઓમાં શંખલપુર ગામે આગમન થાય તે સમયે ગામની દીકરીઓ દ્વારા ફૂલોથી વધામણાં કરવામાં આવશે, સાંજના 7:00 વાગે માતાજીના મંદિરે ધ્વજારોહણ બાદ રાત્રે 9:00 વાગે મહા આરતીનું આયોજન કરાયું છે. જેમાં 6,000થી વધુ લોકો જોડાનાર છે. મહા આરતી માટે સમગ્ર મંદિર તેમજ પરિસરમાં સાફ-સફાઈ તેમજ શાંતિથી બેસી શકાય તેવી સુંદર વ્યવસ્થા કરાઈ છે. હાલમાં વડીલોને સત્કારવા શંખલપુર ગામનાં નાના બાળકોથી લઇ મહિલાઓ અને વડીલો સમસ્ત ગ્રામજનો ભારે ઉત્સાહ અને ઉમંગ છવાયો છે.
તીર્થયાત્રીઓ પાટણ તરફથી નીકળી આજે સાંજે બહુચરાજી પધારે તે સમયે બેચર બહુચરાજી નગર અને તાલુકા પાટીદાર સમાજ દ્વારા પણ નારણપુરા વાડી ખાતે પાટીદાર વડીલોનું ફૂલોથી સ્વાગત કરવામાં આવશે અને યુવાનો કાલરી રેલવે ફાટકથી શંખલપુર રેલવે ફાટક સુધી ટ્રાફિક વ્યવસ્થા જાળવશે.