પાટણ શહેર અને જિલ્લામાં ચાંદીપુરા વાયરસને આવતો અટકાવવા આરોગ્ય વિભાગ કામગીરી હાથ ધરે
સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ: પાટણ જીલ્લામાં ચાંદીપુરા રોગચાળાને અટકાવવા યોગ્ય પગલા ભરવા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા ગુરૂવારે જીલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા નામના વાઈરસ રોગે લોકોને ધ્રુજાવી મુક્યા છે. આ વાઇરસ રોગનો અનેક બાળકો ભોગ બનતા 18 થી વધુ બાળકોના મોતની ઘટના સામે આવી છે.ત્યારે પાટણ શહેર સહિત જીલ્લામાં આ રોગચાળાનો પગપેસારો થાય તે પહેલા જ તેને અટકાવવા યોગ્ય પગલા લેવામાં આવે તે માટે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારી ને ઉદેશી ને નાયબ ચિટનીશ ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.
ચાંદીપુરા વાઈરસ રોગ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે: જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં સર્જાતી ગંદકીને કારણે બાળકોમાં તાવ, શરદી અને ખેંચ જેવા લક્ષણો જોવા મળે છે ત્યારે પાટણ જીલ્લામાં આ રોગચાળાનો પગપેસારો થાય તે પહેલા તેને અટકાવવા અને પાટણ જીલ્લામાં આ વાઈરસનો ફેલાવો ન થાય અને કુમળા બાળકો તેનો ભોગ ન બને તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વધુમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવો, મેડીકલની તાત્કાલીક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવી અને વાઈરસ વધુ ન ફેલાય તે બાબતે યોગ્ય કામગીરી કરવાની માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.