સિધ્ધપુર તાલુકાના તાવડિયા ગામે રથનું ભવ્ય સ્વાગત કરાયું : ગ્રામજનોએ વિવિધ યોજનાનો લાભ લીધો
દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતિ અને લાભો પહોંચાડવા દેશભરમાં 15મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જે અંતર્ગત પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના તાવડિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો. જેમાં સ્થળ પર જ કુલ 14 જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવીને વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત સ્થળ પર કુલ 201 વ્યક્તિઓની આરોગ્ય કેમ્પમાં તપાસ કરવામાં આવી હતી અને કુલ 279 ટીબી રોગના દર્દીઓની પણ તપાસ કરવામાં આવી હતી. આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તાવડિયા ગામમાં કુલ 310 લોકોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, જિલ્લા રોજગાર અધિકારી એચ.એમ.ગઢવી, મેડિકલ ઓફિસર ડૉ.ગૌરવ મેવાડા, તાલુકા અમલીકરણ અધિકારી હિરેનભાઈ પટેલ, ખેતીવાડી અધિકારી મિતલબેન ચૌધરી તેમજ વિવિધ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.