તાણેચાપુરા પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરીત હાલતમાં : બાળકો અભ્યાસ કરવા મજબૂર
સરસ્વતીના નાયતા ગામે આવેલ તાણેચાપુરા પ્રાથમિક શાળાના બે ઓરડાઓ ત્રણ વર્ષ પહેલા જર્જરીત ઓરડાઓ તોડી પાડ્યા હતા. વધુ એક ઓરડો જર્જરિત બનતાં છેલ્લા એક વર્ષથી બે પાળીમાં પ્રાથમિક શાળા ચાલે છે.સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે આવેલ તાણેચાપુરામાં ધો.1 થી 8ની પ્રાથમિક શાળામાં કુલ 122 વિધાથીર્ઓ અભ્યાસ કરે છે. જેમાં પ્રાથમિક શાળાના બે ઓરડાઓ જર્જરિત થતાં તોડી પાડ્યા છે અને એક ઓરડો જર્જરીત છે તેમાં છાત્રો ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવવા મજબુર બન્યા છે અને બે ઓરડા સલામત હોવાથી બેસવાના અભાવે બે પાળીમાં શાળા ચલાવાય છે. જેમાં સવારે 1 થી 5 અને બપોરે 6 થી 8ના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં જર્જરીત ઓરડામાં પણ બાળકો મોતના મુખમાં ભયના ઓથાર હેઠળ શિક્ષણ મેળવવા બાળકો મજબુર બન્યા છે.શાળાના આચાર્યએ જણાવ્યું કે ઓરડાઓ મંજૂર થયેલ છે વેકેશનમાં ગાંધીનગરની ટીમ માટીનો નમુનો લઈ સ્થળની મુલાકાત કરેલ છે વહેલી તકે શાળાના ઓરડાઓ બને તેવી અમારી પણ માંગ છે. તાણેચાપુરાના યુવા અગ્રણીએ જણાવ્યું કે જુના ઓરડાઓ જર્જરીત જાહેર કરાતા 3 વર્ષ અગાઉ તોડી પાડ્યા છે અને શાળા બે પાળીમાં ચાલે છે જેથી નવીન ઓરડાઓ મંજૂર થયેલ તાત્કાલિક કામ ચાલુ કરી બાળકોને શિક્ષણની સાથે બેસવાની વ્યવસ્થા મળે તેવી માંગ કરી છે.
તોડી પાડેલ બે ઓરડાઓ બન્યા નથી અને વધુ એક ઓરડો જર્જરીત હાલતમાં ખેતરોમાં વસવાટ કરતા પરા વિસ્તારના બાળકોને શાળાએ મુકવા આવવામાં અગવડતા પડે છે. કારણ કે એક પરિવારના બે બાળકો અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતા હોય તો બેવાર ધક્કા ખાવા પડે છે. જેથી તંત્ર તાત્કાલિક ધોરણે ઓરડાઓ બનાવવા વિધાર્થીઓ અને વાલીઓની માંગ ઊઠી છે. એક પાળીમાં શાળા ચાલે તો બે વાર ધક્કા ન ખાવા પડે.