![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/25-2.jpg)
પાટણની ભોલેનાથ સોસાયટીમાં દૂષિત પાણી આવતા રહિશોએ પાલીકામાં ઉગ્ર રજૂઆત કરી
પાટણ શહેરની વિવિધ સોસાયટી વિસ્તારો તેમજ કેટલાક મોહલ્લા પોળોમાં ઓછા ફોર્સથી અને દૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠી છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી આવી પરિસ્થિતિ ભોગવી રહેલા શહેરના મીરા દરવાજા રોડ પરની ભોલેનાથ સોસાયટીના રહીશોએ ગુરુવારે મહિલાઓ સાથે પાલિકા ખાતે આવી પાલિકા પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી. ઓછા ફોર્સથી અને દૂષિત આવતા પાણીની સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા માગ કરી હતી.આ સમસ્યા મામલે ભોલેનાથ સોસાયટીમાં રહેતા ભરતભાઈ પ્રજાપતિએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે વોટ માંગતા આ વિસ્તારના કોર્પોરેટરોને આ મામલે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી. જેથી રહીશો પરેશાન બન્યા છે. જો એક સપ્તાહમાં ભોલેનાથ સોસાયટીમાં પાણી અને રસ્તાની સુવિધા બાબતે યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો ના છુટકે રહીશોએ પાલિકામાં ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી આપી હતી.ભોલેનાથ સોસાયટીના રહીશોની રજૂઆતના પગલે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, આ સોસાયટી જૂની હોવાના કારણે પાણીની પાઈપ લાઈનો ખુબ સાંકડી હોય જેના કારણે પુરતા ફોર્સથી પાણી રહિશોને મળતું નથી. ત્યારે રહિશો સરકારની 70/30 સ્કીમનો લાભ લઈ પોતાના સોસાયટી વિસ્તારમાં નવીન પાઈપ લાઈન નંખાવે તે માટે સમજાવ્યાં હોવાનું જણાવ્યું હતું. તો સોસાયટીમાં બાકી રોડ માટે પણ તેઓએ રહિશોને હૈયાધારણા આપી હતી.