પાટણની ટ્રિબ્યુનલે કોર્ટે અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને રૂા. 46.84 લાખનું વળતર ચુકવવામાં આવ્યું
પાટણની મોટર અકસ્માત ક્લેઇમ ટ્રિબ્યુનલ કોર્ટે અકસ્માતનાં એક બનાવમાં જીવ ગુમાવનારા વ્યક્તિનાં પરિવારનાં સભ્યોને રૂા. 46,84,880નું વળતર 9% સાદા વ્યાજ સાથે ચુકવવાનો અકસ્માત સર્જનાર ગાડીનાં ચાલક તથા વીમા કંપનીને આદેશ કર્યો છે. અકસ્માતમાં પરિવારનાં આધારસ્તંભ સમાન સભ્યને ગુમાવનારા પરિવારે રૂા.70 લાખનાં વળતરની માંગણી કરતો દાવો અરજી રજુ કરી હતી. જેની સુનાવણી કરીને પાટણની અકસ્માત કલેઇમ ટ્રિબ્યુનલનાં જજ બિપીનભાઇ કે. બારોટે અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને રૂા. 46.84 લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો.હારીજનાં ઝપટપુરાનાં રહિશ અને સાણંદ વિસ્તારની કંપનીમાં માસિક રૂા.25000નાં પગારે નોકરી કરતાં છગનજી ઉર્ફે બાબુજી કાળુજી ઠાકોર સાણંદ વિસ્તારમાં તા. 1- 9-2018ના રોજ રસ્તો ઓળંગતા એક અલ્ટો કારે તેને ટક્કર મારતાં ગંભીર ઇજા થતાં નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમને મૃત જાહેર કરાયા હતા. તેમનાં મૃત્યુથી પત્ની, માતા-પિતા અને સંતાનોનો આધારસ્તંભ છીનવાઈ ગયો હતો. વીમા કંપની પાસેથી અને અકસ્માત સર્જનારા પાસેથી રૂા.70 લાખનું વળતર મેળવવા માટે મૃતકની પત્ની ભગીબેન તેમનાં બાળકો અને તેનાં માતાપિતાએ તેમનાં એડવોકેટ રાજુભાઇ એમ. સોલંકી મારફત પાટણની કોર્ટમાં દાવા અરજી દાખલ કરતાં કોર્ટે બંને પક્ષોની રજુઆતો સાંભળીને મૃતકનાં પરિવારને આંશિક વળતર રૂ46,84,880નું વળતર 9%નાં સાદા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો હતો.