![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/16-1.jpg)
પાટણ જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ રાધનપુર ખાતે યોજાશે
75માં આઝાદીના અમૃત મહોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે આયોજીત કેમ્પેઈન મારી માટી, મારો દેશ ના કારણે આ વર્ષનો 15મી ઓગષ્ટનો ધ્વજવંદન કાર્યક્રમ સૌના માટે વિશેષ બની રહેશે. હાલમાં સમગ્ર રાજ્યમાં ધ્વજવંદનની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 15મી ઓગષ્ટના આ વર્ષે પાટણના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહેવાના છે. આ વર્ષની 15 મી ઓગષ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી રાધનપુરની આદર્શ શાળા ખાતે યોજાશે.આ વર્ષની પાટણની જિલ્લા કક્ષાની ઉજવણી રાધનપુર મુકામે રાખવામાં આવી છે. જેની ઉજવણીની તૈયારીના ભાગરૂપે આજરોજ રાધનપુર પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લાનાં તમામ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની સાથે મીટીંગ યોજાઈ હતી.બેઠકમાં કલેક્ટરએ સંલગ્ન અધિકારીઓને તેઓએ કરવાની થતી કામગીરી અંગે સુચન કર્યું હતુ. કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની સાથે જિલ્લા પોલીસ વડા અને તમામ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી હતી.જે બાદ જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ બાબતે જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતુ કે, જિલ્લા કક્ષાની ઉજવણીમાં જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન છે ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર 15 મી ઓગસ્ટનો કાર્યક્રમ ભવ્ય બને તે માટે કટિબદ્ધ છે. આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તે બાબતે મંથન કર્યું હતું.15મી ઓગષ્ટના દિવસે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે. ત્યારે આઝાદીના પર્વને પાટણ જિલ્લાના નાગરિકો ઉલ્લાસભેર ઉજવે તે માટે તંત્ર તૈયારી કરી રહ્યું છે.15મી ઓગષ્ટની પૂર્વતૈયારીના ભાગરૂપે આયોજીત બેઠકમાં જિલ્લા નિવાસી કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક,પ્રાંત અધિકારી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.