પાટણ કલેક્ટરે પ્રાકૃતિક ખેતી અને મધુમાખી પાલન કરતાં ખેડૂતો સાથે સીધો સંવાદ
પાટણ તાલુકો પણ પ્રાકૃતિક ખેતીમાં આગળ વધી રહ્યો છે. જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા પાટણ તાલુકાના સાંડેસરી પાટી ગામે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ મહિલા ખેડુત હસુમતિબેન પટેલના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરવામાં આવી હતી.તેઓના ખેતરમાં મૃદુ આચ્છાદન, આંતરપાક અને સહજીવી પાકપધ્ધતિ દ્વારા વાવેતર કરેલું છે. આ તમામ નિહાળીને માનનીય કલેકટરએ જીવામૃત બનાવવાની પધ્ધતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતુ. હસુમતીબેનનાં ખેતરમાં થયેલ અન્ય પાકોની વાત કરીએ તો, કપાસ પાકની અંદર વિવિધ કઠોળ વર્ગના પાકો અને શાકભાજી પાક જેવા કે,ચોળી,ભીંડી,રીંગણ,ગવાર,દૂધી,વાલોર-પાપડીનું વાવેતર કરવામાં આવ્યુ છે. ખેતરમાં કોબીજ,ફુલાવર તેમજ ટામેટાના ધરૂ તૈયાર કરવામાં આવેલ હતા, તેમના આ પાકોમાં તેઓએ બીજામૃત,ઘનજીવામૃત,જીવામૃત અને દશપર્ણી અર્કનો ઉપયોગ કરેલ છે. આવી રીતે હસુમતીબેન ખરા અર્થમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યાં છે.કલેકટર દ્વારા મધમાખી પાલન કરતાં પ્રગતિશીલ મહિલા ખેડુત પટેલ તન્વીબેન હિમાંશુભાઈની પણ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરએ મધમાખી ઉછેર અંગેની માહિતી મેળવી હતી.અલગ અલગ પાકોના મધના ઉત્પાદન માટે મધમાખીના બોક્ષને જુદા-જુદા પાકોના ખેતરમાં મુકવામાં આવે છે, જેથી વિવિધ ફ્લેવરના મધનું ઉત્પાદન થાય છે. 1 વર્ષમાં અંદાજે 15000 કિ.ગ્રા મધનું ઉત્પાદન કરવામાં કરતાં તન્વીબેને કલેક્ટરને મધ ઉછેરની આખી પ્રક્રિયા જણાવી હતી.