![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/02.jpg)
પાટણ જિલ્લાના ગામડાઓને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા નિર્મળ ગુજરાત-2.0 અભિયાન યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકીને સ્વચ્છતા અભિયાન અમલી બનાવાયેલ છે અને લોકોમાં સ્વચ્છતા પ્રતિ જાગૃતિ ઉભી થાય અને લોકો રોજિંદા જીવનમાં સ્વચ્છતાને અગ્રતા આપી તેને અપનાવી જીવન મધુર બનાવે તેવી સરકારની સતત ચિંતા અને આશય રહ્યો છે. આ માટે ગામડાં અને શહેરોમાં સ્વચ્છતા અભિયાન સાથે સ્વચ્છતા સર્વેક્ષણ કરીને આ ક્ષેત્રે સારી કામગીરી કરનારને એવોર્ડ આપી સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ કાગળ ઉપર જે રીતે આંકડામાં સ્વચ્છતાના દર્શન કરવામાં આવતા હોય છે તેવું વાસ્તવિકતામાં સાચું ચિત્ર જોવા મળતું નથી અને અનેક પ્રકારની ખામીઓ જોવા મળતી રહે છે. ત્યારે સરકારે હવે ગામડા સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બને અને ગામમાં પ્રવેશતાં જ ખરેખર ગામ સાચા અર્થમાં સ્વચ્છ જણાય તે માટે સરકારે ફરી ચિંતા કરીને નિર્મળ ગુજરાતમાં બીજા તબક્કાનું આયોજન કર્યું છે. જેમાં પાટણ જિલ્લાનો પણ સમાવેશ થયો છે.ગામડાઓને સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બનાવવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2024 -25 માટે નિર્મળ ગુજરાત – 2.0નું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટણ જિલ્લામાં પણ આ અભિયાન અંતર્ગત ગામડાઓને ગંદકીથી મુક્ત અને ચોખ્ખા, સ્વચ્છ બનાવવા અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે પાટણ જિલ્લા પંચાયત દ્વારા રૂ. 47.22 કરોડનું સુવ્યવસ્થિત આયોજન તૈયાર કરીને સરકારમાં મોકલી આપવામાં આવ્યું છે.નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત પાટણ જિલ્લામાં અગાઉ ઘરે ઘરે શૌચાલય, સફાઈ, કચરાનો નિકાલ, શાળાઓમાં શૌચાલયની સુવિધા જેવી કામગીરી કરવામાં આવેલ છે. છતાં ગામડાઓમાં સ્વચ્છતાની બાબતમાં જોઈએ એવી સારી સ્થિતિ જોવા મળતી નથી. ત્યારે રાજ્ય સરકાર ચિંતિત બની છે અને સમગ્ર ગુજરાતના ગામડાઓને દેખાય તેવા સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની કાયમી વ્યવસ્થા ઉભી થાય તે માટે સ્વચ્છ ભારત મિશન – (એસબીએમ) અંતર્ગત નિર્મળ ગુજરાત 2.0અભિયાન હાથ ઉપર લીધું છે.
પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન અને ડીડીઓ ડી.એમ. સોલંકી દ્વારા જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતાની થઈ રહેલી કામગીરી, કેવા પ્રકારની જરૂરિયાત ઊભી થઈ છે. સ્વચ્છતા માટેના સાધનો પર્યાપ્ત માત્રામાં છે કે કેમ ? શાળાઓમાં શૌચાલયની સુવિધા છે કે કેમ ? તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બનાવેલા સામૂહિક શૌચાલયનો ઉપયોગ અને તેની જાળવણી તેમજ ગામડાઓમાં સફાઈની શું વ્યવસ્થા છે સહિતની બાબતોની તપાસ કરાવી હતી અને તેના આધારે કેટલી નાણાકીય જરૂરિયાત ઊભી થશે તે માટે એક રિપોર્ટ તૈયાર કરી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવા એક વ્યવસ્થિત સાઈટ તૈયાર કરીને વ્યવસ્થા ઊભી કરવાના આયોજન અંતર્ગત રૂ. 47.22 કરોડના ખર્ચની એક દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલી આપી છે.આ દરખાસ્તમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રૂ.23.15કરોડ, 15માં નાણા પંચમાંથી રુ.11.58 કરોડ અને મનરેગા યોજનામાં રૂ. 12.22 કરોડ મળી કુલ રૂ. 47.22 કરોડની દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મંજૂરી માટે મોકલાઈ છે. જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ ગામડાંને સ્વચ્છ બનાવવા સરકારી તંત્ર સાથે લોક ભાગીદારી પણ એટલી જ મહત્વની હોવાનું જણાવી સૌના સહિયારા પ્રયત્નો દ્વારા ગામડાં સ્વચ્છ અને સુઘડ બનાવવા અપીલ કરી હતી. તેમણે ગામડાઓમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી સઘન બનાવવા, સૂકા અને ભીના કચરા અલગ અલગ કલેક્શન, જિલ્લા પંચાયતની 32 બેઠકો પ્રમાણે 32 ક્લસ્ટર બનાવી ગ્રામ્ય વિસ્તારોનો ઘન કચરો એકત્રિત કરી સેગ્રીગેશન કરી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું. વળી, ગંદાપાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી, ગામમાં ઉકરડાઓ દૂર કરવા અને વ્યવસ્થિત જગ્યાએ કરવા, ગામની શેરીઓ, ચોક ફળીયાઓને સ્વચ્છ અને સુંદર રાખવા, સામુહિક શૌચાલયો બનાવવા આયોજન થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું હતુ