![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/19-3.jpg)
પાટણના સાયન્સ સેન્ટરની લોકાર્પણથી અત્યાર સુધી 7 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકત લીધી
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર જિલ્લાના તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ 1 મે 2022ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તર ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રચાર અને પ્રસાર કરવાનો છે. આજે આ સાયન્સ સેન્ટર પોતાના ઉદેશ્યને સાર્થક કરી રહ્યું છે.પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ગામે આવેલ રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાતીઓની સંખ્યા પર વિગતે જોઈએ તો, લોકાર્પણથી અત્યાર સુધીમાં સાત લાખથી વધુ મુલાકાતીઓ આ સાયન્સ સેન્ટરમાં આવી ગયા છે.વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1300 થી પણ વધારે વર્કશોપ, સાયંટિફિક-શો, ટ્રેનિંગ પ્રોગ્રામ, જાગૃતિ કાર્યક્રમ, એક્સપર્ટ લેકચર, વૈજ્ઞાનિક દિનની ઉજવણી વગેરેનું આયોજન આ સાયન્સ સેન્ટરમાં કરવામાં આવેલ છે. સાયન્સ સેન્ટરની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે, તેની ઉજવણી સમયે પાટણ જિલ્લાના કલેક્ટર અરવિંદ વિજયનની હસ્તકે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 150 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.પાટણના સાયન્સ સેન્ટર ખાતે ઓડિયો-વિડિયો વિઝ્યુઅલ સાથે મિલેટ્સ ગાર્ડન નું મોડેલ બનાવામાં આવ્યું છે. જેમાં 8 પ્રકારના મિલેટ્સ અને તેના બીજનું નિર્દેશન કરેલ છે. જે મારફતે સૌને મિલેટ્સની જાણકારી મળી રહે છે.સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતુ કે, “વિજ્ઞાનની અનોખી દુનિયામાં આવો અને વિજ્ઞાન અને ટેકનોલોજીની વિગતો સરળ અને મનોરંજક રીતે જાણો”. વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ સાયન્સ સેન્ટરમાં નિયમિત મુલાકાત લેવી જોઈએ. જેથી તેઓને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે છે.