પાટણના ચાણસ્મામાં યોજાયેલી સભામાં ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરી આપી
પાટણ જિલ્લાના ચાણસ્મામાં શનિવારે “સંવિધાન બચાવો સભા” યોજાઈ હતી. જેમાં ચાણસ્મા અનુસુચિત જાતિ સમાજ અને રાષ્ટ્રીય દલીત અધિકારી મંચ ના નેજા હેઠળ યોજાયેલી સભામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી,ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોર, ચેરમેન ગુ. કોગ્રેસ અનુ.જાતિના હિતેન્દ્ર પીઠડીયા,કોગ્રેસ સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, હાઈકોર્ટેના એડવોકેટ સુબોધ કમુદ,પાટણના એડવોકેટ ડૉ.મનોજભાઈ પરમાર અને મહેસાણા ના એડવોકેટ કૌશિકભાઈ પરમાર સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં મેવાણી દ્વારા ભાજપ પર પ્રહારો કરવામાં આવ્યા હતા.આ સંવિધાન બચાવો જાહેર સભામા ઉપસ્થિત રહેલા યુવા નેતા જીગ્નેશ મેવાણીએ તેની આગવી શૈલીમાં બંધારણનું મહત્વ અને તેને બદલવા માટે ચાલી રહેલી ગતિવિધિઓને લઈ વાત કરી હતી. મેવાણીએ કહ્યું હતું કે,સમગ્ર વિશ્વના બંધારણનો અભ્યાસ કરીને શ્રેષ્ઠ બંધારણ ભારતને અર્પણ કરાયું છે ત્યારે તેને બદલવા માગતા લોકોને ઓળખી લેવા અને કોઈપણ ભોગે બંધારણ બચાવવા માટે સજજ રહેવા હાકલ કરી હતી. તેમણે સંવિધાન બચાવવા સભા કેમ કરવી પડે છે અને કોનાથી સંવિધાન બચાવવાનું છે તેના પર પ્રકાશ પાડી આરએસએસ અને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
સંવિધાન બચાવો સભામાં ઉપસ્થિત રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈએ તેમની આક્રમક શૈલીમાં જણાવ્યું કે આ દેશ ડૉ. બાબાસાહેબના બંધારણથી ચાલી રહ્યો છે અને સંવિધાનથી મોટો કોઈ ધર્મગ્રંથ ન હોઈ શકે. તેમણે કહ્યું કે, દલિત શોષિત સમાજને જ્યાં સુધી બીજા ક્રમના નાગરિક તરીકે જોવાની માનસિકતા ન બદલાય ત્યાં સુધી લડત ચાલુ રાખવી પડશે. તેમણે ભીમ ડાયરાના આયોજનો કરીને સંવિધાનની વાતોના ડાયરા યોજાય તે માટે હિમાયત કરી હતી. ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સુબોધ કુમુદે જણાવ્યું કે હાલની સરકારે યુવાનોને તેઓ સંવિધાનમાં રસ લે તેવા રાખ્યા જ નથી.પાટણ ના એડવોકેટ ડો. મનોજ પરમારે કાવ્યાત્મક શૈલીમાં વર્તમાન સમાજ વ્યવસ્થા સામે આક્રોશ ઠાલવ્યો હતો. ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોરએ જીગ્નેશ મેવાણીને અભ્યાસુ અને સમાજના અન્યાય અને શોષણ સામે ન્યાય માટે અવાજ ઉઠાવનાર અને લડત આપનાર નેતા ગણાવ્યા હતા. સંવિધાન બચાવો સભામાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો કાર્યકરો તેમજ અનુસૂચિત જાતિ સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.