![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/33-1.jpg)
સરસ્વતીના જાળેશ્વર પાલડીમાં ગૌચરનું દબાણ હટાવવા પહોંચતા જેસીબી બગડયું
સરસ્વતી તાલુકાના જાળેશ્વર પાલડી ગામે ગૌચર અને સ્મશાનની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો કરી રહેઠાણ કરાયા હોઈ કાર્યવાહી માટે ટીમ પહોંચી હતી. પણ જેસીબી બગડતાં કાર્યવાહી મુલતવી રહી હતી. જે આજે ફરી શરૂ કરાશે.પાલડી ગામે ચિલ્ડ્રન હોમની બાજુમાં આવેલ ગૌચરની જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદે જમીન કબ્જે લઈ રહેઠાણ કરતા હોવાથી ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆતો થઈ હતી. ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની જમીન પરથી દબાણો દૂર કરવા દબાણદારોને અનેક નોટિસો આપવામાં આવી હતી.છતાં દબાણદારો દ્વારા દબાણ દૂર નહિ કરાતાં આખરે ગ્રામ પંચાયત દ્વારા સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે જાણ કરાઈ હતી. મંગળવારે સરસ્વતી વહિવટી તંત્ર સહિત પોલીસનો કાફલો જાળેશ્વર પાલડી ગામે પહોંચ્યો હતા.તાલુકા વિસ્તરણ અધિકારી,ઓફિસર મામલતદાર , રેવન્યુ તલાટી,વહિવટદાર ,તલાટી કમ મંત્રી ,સહિત વહિવટી તંત્ર અને સરસ્વતી પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.