પાટણની કેન્દ્રિય વિદ્યાલય ખાતે નવી શિક્ષણનીતિને લઈ જાણકારી અપાઈ
નવી શિક્ષણનીતિ 2020ને ત્રણ વર્ષ પૂરા થવાના પ્રસંગે વડાપ્રધાન આજરોજ શિક્ષા સંગમના માધ્યમથી દેશને સંબોધિત કરવાના છે, ત્યારે આજરોજ તેના અનુસંધાને કેન્દ્રિય વિદ્યાલય, પાટણ ખાતે નવીશિક્ષણ નીતિની સંપૂર્ણ જાણકારી માટે પત્રકારવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું.નવી શિક્ષણનીતિ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવી વિદ્યાર્થીઓ ક્રિએટિવ દિમાગે અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. છેલ્લા 3 વર્ષમાં આ નીતિના હકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વર્ષ-2030 સુધીમાં ધો-1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક માળખાનું વર્ગીકરણ છે. તેને હવે 5+3+3+4 મુજબ અમલી બનાવવામાં આવ્યું છે. ઉપરાંત શાળાનાં વાતાવરણમા બાળકો સરળતાથી ભળી જાય તે માટે તેમને ત્રણ વર્ષ થયા થી બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. આમ, બાળક 6 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.વિદ્યાર્થીઓ, ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત કરે, વાર્તા અન્ય શૈક્ષણિક ઉપકરણોનો મહત્તમ ઉપયોગ, ટેકનિકલ શિક્ષણ આપવાની સાથે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આત્મીયતા વધે તે માટે આ નીતિ મહત્વની છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાની રૂચી મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભવિષ્યમાં જે ક્ષેત્રમાં તક રહેલી છે, તેવા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વગેરે જેવી બાબતોના કૌશલ્યો વિદ્યાર્થીઓ શીખી શકે તેને આ શિક્ષણનીતિ હેઠળ વણી લેવામાં આવ્યાં છે. 10 દિવસ માટે ” બેગલેશ ડે ” એટલે કે ભાર વિનાના ભણતરના વિચારને પણ સાર્થક કરવામાં આવશે.નવી શિક્ષણ નીતિમાં કૌશલ્યવર્ધન પર ભાર આપવામાં આવ્યો છે. ડિગ્રીને મહત્વ નહીં પરંતુ સ્કિલ એટલે કે આવડત પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી બેરોજગારીની સમસ્યા પણ હલ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે. હાલમાં નવી શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. જો કે, નવી શિક્ષણ નીતિની અમુક બાબતોની અમલવારી થઈ ચૂકી છે.