![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/66.jpg)
આજના વિષમ વાતાવરણમાં યુવા વર્ગને સંસ્કારોથી સમૃદ્ધ બનાવવા વાચના સત્રો જરૂરી – જૈનાચાર્ય
શંખેશ્વરની ઉર્જાભૂમિ તરીકે જાણીતા શ્રુતમંદિરના આંગણે રોજબરોજ ધાર્મિક અનુષ્ઠાનોની હારમાળામાં તીર્થ પ્રેરક પૂજ્ય ગુરુદેવ આચાર્ય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મ.અને આચાર્ય યુગચન્દ્ર સૂરિ મહારાજાની પાવન નિશ્રામાં પ્રકાશભાઈ જૈન (દાવણગિરી) તરફથી ત્રિદિવસીય શંખેશ્વર દાદાની પદયાત્રાનું આયોજન કરાયુ છે.
અષાઢ સુદ-3 તા.21 જૂનના સવારે પ્રવચન શ્રુતતીર્થથી શરણાઈના નાદ સાથે 150 જેટલા યુવા-યુવતીઓ પૂજાના વસ્ત્રમાં પગે ચાલીને દાદાને ભેટવા ગયા હતા. ત્યાં ઉષાભક્તિ સમૂહ ચૈત્યવંદન તથા મંત્રજાપ કરાયો હતો. 9-30 કલાકે દાદાના દરબારની સામેના રંગ મંડપમાં પ્રવચન શ્રુતતીર્થથી લાવેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજી ઉપર વિવિધ મંત્રોચ્ચાર સાથે ઔષધિ સહ અષ્ટોત્તરી સ્નાત્ર અને પુષ્પ વૃષ્ટિ કરાઈ હતી. બપોરે પ્રવચનમાં પ્રભુ પાર્શ્વનાથનો મહિમા સમજાવ્યો હતો. સિદ્ધહસ્ત લેખક લિખિત શંખેશ્વર તીર્થ અતીતથી આજ પુસ્તક આધારિત લિખિત પરીક્ષાનું પણ આયોજન કરાયું છે.
યુવા ટીમમાં મુખ્ય સંયમભાઈ અને બહેનોના સંચાલનમાં જાગૃતિબેનનું અવિસ્મરણીય યોગદાન રહ્યું છે. આજે તા.22 જૂને પ્રભુજી ઉપર વર્ધમાન શક્રસ્તવ અભિષેકનું આયોજન તેમજ સંધ્યા ભક્તિ વગેરે ભક્તિ અનુષ્ઠાનો યોજાશે. આજના વિષમ વાતાવરણમાં યુવાવર્ગને ધર્મના સંસ્કારોથી સમૃદ્ધ બનાવવા આવા વાચના સત્રોના આયોજનો થવા જોઈએ તેમ જૈનાચાર્યએ જણાવ્યું હતું.