શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સિધ્ધપુર સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો
આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બની રહ્યા છીએ : શંકરભાઈ ચૌધરી
ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે : બલવંતસિંહ રાજપૂત ગુજરાત સરકાર દ્વારા ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં સરસ્વતી નદીમાં જળસંચયની કામગીરી અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રીએ અરવડેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતાનો અનુભવી હતી. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, સિદ્ધપુર દેવોની ભૂમિ છે. જેનો ઉલેખ્ખ આપણાં વેદોમાં પણ છે. આ પાવન ધરા પર સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે. જેના અનુસંધાને સરસ્વતી નદીમાં જળસંચયના શુભ કામ કરવાનું કાર્ય સવજીભાઈ ધોળકિયાના હસ્તે થઈ રહ્યું છે. આજે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બની રહ્યા છીએ. આપણો આ વિસ્તાર ભવ્ય અને દિવ્ય ઇતિહાસ ધરાવે છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સિદ્ધપુરમાં અરવડેશ્વર મહાદેવ મંદિરમાં હવન સંપન્ન થયો હતો. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી સાથે સરસ્વતી નદી અંગે ચર્ચા થઈ હતી. જેથી આજે ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સરસ્વતી નદીમાં જળ સંચયની કામગીરીનો શુભારંભ થયો છે. જે આપણા સૌ માટે આનંદની વાત છે. જેના અનુસંધાને સરસ્વતી નદી ત્રણ મીટર ઊંડી થશે અને તેના પર ભવ્ય ઘાટ બનવાથી સુંદરતાનું નિર્માણ થશે અને ધાર્મિક કાર્યો સુખરૂપ સંપન્ન થશે.
આ કાર્યક્રમમાં ધોળકિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન સવજીભાઈએ જણાવ્યું હતું કે, કુદરતે મને બહુ જ આપ્યું છે. જેથી મારે પણ સમાજને પરત આપવાની ઈચ્છા છે. આપણે સૌ સારા સંકલ્પ કરીને માં સરસ્વતીના આશીર્વાદ લઈએ. આ કાર્યક્રમમાં જળસંપતિ વિભાગ અધિક સચિવ એમ.ડી.પટેલ, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, જીલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સાંસ્કૃતિક કમિટીના ચેરમેન ભાવેશભાઈ રાજગુરુ, સદસ્ય અંકુરભાઈ મારફતિયા સહિત સંગઠનનાં હોદ્દેદારો, કાર્યકરો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.