રાધનપુરમાં ઉબડ ખાબડ રસ્તા ઠેર-ઠેર ગંદકી તેમજ ભૂગર્ભ ગટરોથી રહિશો પરેશાન
રાધનપુરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાઓ પણ જોવા મળી રહી છે, તમેજ શહેરના કેટલાક વિસ્તારોમાં બંધ સ્ટ્રીટ લાઈટોના કારણે રહીશો પરેશાન બન્યા છે. પીવાના પાણીની સમસ્યા પણ શહેરીજનો માટે વિકટ બની છે તો બીજી તરફ રાધનપુર પંથકમાં પડેલા વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડાઓ પડી જતા માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓને વાહન ચાલકો સહિત વિસ્તારના વેપારીઓને પણ યાતના ભોગવવાનો વારો આવ્યો છે. રાધનપુર શહેરની પાલિકા તંત્રની નિષ્ક્રિય કામગીરી બાબતે બસ સ્ટેશન માર્ગ પરના રમેશભાઈ નામના વેપારીએ બળાપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, શહેરના રોડ, રસ્તા, ગંદકી, બંધ સ્ટ્રીટ લાઈટો, પાણીની સુવિધા સહિતની પ્રાથમિક સુવિધા બાબતે નગરપાલિકા તંત્રને અનેક વખત શહેરીજનો દ્વારા લેખિત તેમજ મૌખિક આવેદન પત્ર આપી અને હંગામાઓ કરવા છતાં નગરપાલિકા દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. શહેરના પ્રવેશ દ્વારના માર્ગ પર વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને કારણે ધોવાણ થયેલા માગૅ પર અવાર-નવાર નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે, છતાં તંત્ર દ્વારા એક પણ સમસ્યાનું કાયમી નિરાકરણ લવાતું નથી.