પાટણમાં મહિલાઓએ માટીમાંથી બનાવેલા ઋષિનું પૂજન કર્યું
ભારતીય સંસ્કૃતિમાં ભાદરવા સુદ પાંચમને ઋષિ પાંચમ કે સામા પાંચમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે બુધવારે પાટણમાં વિવિધ જગ્યાઓ પર મહિલાઓ દ્વારા માટીમાંથી બનાવેલા ઋષિઓની શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરવામાં આવી હતી અને વર્ષ દરમિયાન જાણે-અજાણે થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી પરિવાર અને પોતાનું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરી હતી. મહિલાઓએ સામા પાંચમ વ્રતની ભક્તિમય માહોલમાં ઉજવણી કરી હતી.પાટણમાં ઋષિ પાંચમે મહિલાઓએ માટીમાંથી બનાવવામાં આવેલ ઋષિઓનુ પુજન કર્યું હતું. આ અંગે ભાદરવા સુદ પાંચમના પવિત્ર દિવસે આસ્થાળુ લોકો વ્રત, જપ, તપ કરી પુણ્યનું ભાથુ બાંધે છે. ત્યારે આ પવિત્ર પાંચમને ઋષિ પાંચમ તેમજ સામા પાંચમ તરીકે પણ ઉજવવામાં આવે છે.
ઋષિ પાંચમે બહેનો દ્વારા સાત ઋષિઓની માટીમાંથી તૈયાર કરવામાં આવેલ પ્રતિકૃતિની પુજા કરવામાં આવે છે અને ઋષિ પંચમી મહિલાઓ વ્રતની કથા સાંભળે છે. આ વ્રત કરવાં પાછળનો ઉદ્દેશ આ વ્રત પાપનો નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. ઋષિ પાંચમનું વ્રત કરતી મહિલાઓ પાંચમનું ફરાળ કરી પુણ્ય અર્પણ કરે છે. ઋષિ પંચમીએ સ્નાનુ પણ વિશેષ મહત્વ હોય છે. ત્યારે પાટણ શહેરના બગેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓ દ્વારા ઋષિ પાંચમની સમુહમાં પુજા વિધિ કરી ધન્યતા અનુભવી હતી.