![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/049.jpg)
પાટણ જિલ્લામાં 104 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયા બાદ 65 ગામોમાં પૂર્વવત કરાયો
પાટણ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહીના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. જિલ્લા કલક્ટર અરવિંદ વિજયનના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો કામગીરી કરી રહ્યા છે. ત્યારે વરસાદ અને વાવાઝોડાની અસરના કારણે અનેક ગામોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જિલ્લાના 104 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંના 65 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો. જ્યારે બાકીના 39 ગામોમાં હાલ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
UGVCL દ્વ્રારા લોકોને વીજળી મળી રહે તે માટે પુરતી કામગીરી કરવામાં આવી રહી છે. પાટણ, ચાણસ્મા, સરસ્વતી, હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાની વાત કરીએ તો અહીના કુલ 104 ગામોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો જેમાંથી કુલ 65 ગામોમાં વીજળી પુનઃશરૂ કરી દેવામાં આવી છે. તેમજ 39 ગામોમાં કામગીરી ચાલું છે. તદઉપરાંત અનેક ગામોમાં ભારે પવનના કારણે વીજપોલ પડી જવાની ઘટના બની હતી.
46 વીજપોલ પડી ગયા હોવાથી 27 જેટલા વીજપોલ ઉભા કરી દેવામાં આવ્યા છે અને 19 વીજપોલનું કામ ચાલી રહ્યું છે. પાટણ, ચાણસ્મા, સરસ્વતી, હારીજ, સમી અને શંખેશ્વર તાલુકામાં અન્ય નાના-મોટા વાયરો સાંધવાનું કામ પણ ચાલી રહ્યું છે. હાલમાં આ તમામ તાલુકાઓમાં કુલ 28 જેટલી ટીમો કામગીરી કરી રહી છે.