![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/12/Rakhewal-23.jpg)
સાંતલપુરના લખાસર ગામ નજીકની તલાવડીમાં ગેરકાયદે થતી ખનન ચોરી
સાંતલપુર તાલુકાના લખાસર પાસે તલાવડીમાં સીડીએસ કંપની દ્વારા નીતી નિયમો નેવે મુકી ગેરકાયદે ખોદકામ કરી ખુલ્લેઆમ ખનન ચોરી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી હતી આ બાબતે મામલતદારે ખાણ ખનીજ વિભાગની જવાબદારી હોવાનું કહીં માથેથી ખભે કર્યું હતું.
સાંતલપુર તાલુકામાંથી પસાર થતા ભારત માલા પ્રોજેક્ટની કામગીરી કરતી કંપની દ્વારા વિસ્તારમાં ગેરકાયદે ખનન કરી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરાતી હોવાની ફરિયાદો વારંવાર ઊઠી છે. પરંતુ વિસ્તારમાં ચાલતી ખનિજ ચોરી બાબતે જવાબદાર તંત્ર દ્વારા આજદિન સુધીમાં કોઈ નકકર કાર્યવાહી કરી નથી જેને લઈને તાજેતરમાં સાંતલપુર નજીક આવેલ લખાસર પાસેની તલાવડીમાંથી નિયમોને નેવે મુકી કંપની દ્વારા ખોદકામ કરાઈ રહ્યું છે.
જેમાં તંત્ર દ્વારા આપેલ મંજૂરીથી અધિક કંપની દ્વારા ખોદકામ કરી હજારો ટન માટી ચોરી કરાતી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું હતુ. આ બાબતે સીડીએસ કંપનીના કર્મચારીને પૂછતા તેમને મંજૂરી લીધી હોવાનું રટણ કર્યું હતું. જ્યારે કેટલા ટન માટી લેવાના પ્રશ્નો સાચો જવાબ આપવાનું કર્મચારીએ ટાળ્યું હતુ. જમીન લેવલથી 3 ફુટ ખોદકામ કરવાનો સરકારી નિયમ હોવા છતા કંપની દ્વારા ચો તરફ 20-20 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરી હજારો ટન માટી ઉપાડી સરકારને લાખ્ખો રૂપિયાનો ચૂનો લગાડાઈ રહ્યો છે.