હારીજના દુનાવાડાની દાઝેલી,પરણીતાનું સારવાર દરમ્યાન મોત,પતિ વિરુદ્ધ ગુનો દાખલ
હારીજ તાલુકાના દુનાવાડા ગામે પરિણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ તેના પતિના ત્રાસથી કંટાળી શરીરે કેરોસીન છાંટતાં ગંભીર રીતે દાઝતાં ધારપુર ખાતે સાત દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે મૃતકના પિતાએ હારિજ પોલીસ મથકે જમાઇ વિનાજી મેવાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.
કાંકરેજ તાલુકાના પાદરડી ગામના બળવંતજી બાબાજી (ઠાકોર) વાઘેલાની દીકરી સંતોકબેનના લગ્ન ૧૬ વર્ષ પહેલા હારિજ તાલુકાના દુનાવાડા ગામે રહેતા ઠાકોર વિનાજી મેવાજી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા અવાર-નવાર મારઝૂડ કરી ત્રાસ આપતા હોવાથી કંટાળેલ મહિલાએ ૧૩/૧૧/૨૦૨૦ ના રોજ શરીરે કેરોસીન છાંટી આગ લગાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તે ગંભીર હદે દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે ધારપુર ખસેડી હતી. પરંતુ સારવાર દરમિયાન તેણીએ દમ તોડી દીધો હતો.જેથી તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ થતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.