![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-92.jpg)
પાટણમાંથી માતાજીની માંડવીઓ અને ધજા સાથે અનેક સંઘોએ અંબાજી તરફ પ્રયાણ કર્યુ
બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો પ્રારંભ થયો છે. ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે ભાદરવા સુદ દશમની રાત્રે પાટણ શહેરમાંથી અનેક સંઘોએ મા જગદંબાના જય જયકાર સાથે હજારોની સંખ્યામાં માઈભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.
અંબાજીમાં ભરાતા ભાદરવા સુદ-પૂનમના મેળામાં જવા પાટણ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં માંના ભકતો પગપાળા ચાલીને માં જગત જનની ચરણોમાં શીશ નમાવવા માટે જાય છે. ચાલુ સાલે પણ હજારો માઈભક્તોએ માતાજીના રથડા લઈ બોલ માડી અંબેના જયકાર સાથે અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતું.
સોમવારની રાત્રે પાટણ શહેરમાંથી ઝીણીપોળ યુથ ક્લબ નો જય અંબે પગપાળા સંઘ આ વર્ષે 25 માં વર્ષેએ 70 જેટલા પદયાત્રીઓ માતાજીના રથ સાથે નીકળ્યા હતા. ગુર્જરવાડા યુથ કલબ, નાગરલીમડી યુવક મંડળ, બી.એસ.પી. યુવક મંડળ , શાહના પાડાનો મણિભદ્ર યુવક મંડળ, રાજપુર યુવક મંડળ, દ્વારકાધીર યુવક મંડળ, કસારવાડા યુવક મંડળ, અનાવાડા પાટીદાર યુથ કલબ ,લોટેશ્વર યુવક મંડળ,વગેરે મંડળોએ માતાજીની માડવીઓ અને ધજા સાથે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગરબે ઘૂમતા ઘૂમતા બગવાડા દરવાજા ખાતે આવ્યા હતા. તમામ સંઘો બગવાડા ચોકમાં એકઠા થતાં ધાર્મિક મેળાવડો જામ્યો હતો. ભક્તોએ મા જગદંબાનો જય જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું. સંઘોને વળાવવા માટે મોટી સંખ્યામાં લોકો બગવાડા સુધી આવતા મેળાવડો જામ્યો હતો અને બગવાડા ચોકમાં બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુજ્યો હતો.