સાંતલપુરમાં ખેતી પાકોમાં થયેલા નુકસાનનું વળતર ચૂકવવા ખેડૂતોની માંગ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આ વર્ષે વરસેલા અવિરત વરસાદથી તેમજ બિપરજોય વાવાઝોડામાં થયેલ નુકસાની બાબતે પણ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવી નથી જેને લઇને તાલુકાના ખેડૂતો દ્વારા નુકસાનીના વળતર મેળવવા બાબતે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.સાંતલપુર તાલુકા મથક વારાહી ખાતે આવેલ મામલતદાર કચેરીમાં ગુરૂવારે તાલુકાના ખેડૂતો દ્વારા સહાયની માગને લઈને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું કે છેલ્લા 30 દિવસથી તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ તમામ પાકોને નુકસાન થયું છે.તેમજ ખેડૂતો દ્વારા બનાવેલા બંધપાળાઓ તૂટી જવા પામ્યા છે. હાલે તાલુકામાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાયેલી છે.સાંતલપુર તાલુકામાં ખેડૂતો દ્વારા ખરીફ પાક તરીકે મગ,મઠ,જુવાર,બાજરી,તલ સહિતના વાવેતર કરેલ પાકને 900 ટકા નુકશાન થયું છે. જ્યારે બિપરજોય વાવાઝોડામાં પણ તાલુકામાં ખેડૂતોને નુકસાન થયું હતું પરંતુ વાવાઝોડા સમયે પણ કચ્છ અને બનાસકાંઠાનો નુકસાનીના વળતર માટે સમાવેશ કર્યો હતો પરંતુ સાંતલપુર તાલુકાનું સમાવેશ કર્યો ન હતો. સાંપ્રત ચોમાસામાં પડેલ અતિ ભારે વરસાદને કારણે ખેડૂત પરિવારોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે .જેને લઈને સરકારી નિયમો અનુસાર તાલુકાના ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવ માંગ કરી હતી.