રાધનપુરના સાતુંન ગામે 500 વીઘાથી વધારે જમીનમાં પાકને નુકસાન
હવામાન વિભાગની આગાહી ના પગલે લાંબા સમય બાદ છેલ્લા 4 દિવસથી પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વરસાદી માહોલ જામતા ભારે ઉકળાટ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.તો એક તરફ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોએ વાવેતર કરેલ પાકોને નવ જીવન મળતા ખેડૂત વર્ગમાં ખુશી જોવાં મળી હતી.ત્યારે બીજી તરફ નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાતા વાવેતર કરેલ કપાસ,જુવાર બાજરી એરંડા, મગ, અડદ જેવા કઠોળ સહિત ના પાકો પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે રાધનપુર વિસ્તાર સાતુન ખેતરો માં પાણી ભરાઈ જતાં ખેડૂત વર્ગ ચિંતાતુર બન્યો છે. તેમજ ઉપજ માટે ભેગા કરેલ અંરડા જુવાર બાજરી અડદ, મગ ના પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જતા ખેડૂતો કુદરત સામે લાચાર જોવા મળ્યો છે.જિલ્લામાં ભારે વરસાદને પગલે રાધનપુર તાલુકાના આજુબાજુ ના ખેતર વિસ્ત્તારમાં થયેલ એરંડાજુવાર બાજરી અડદ, કપાસ, મગ ના પાકો નુક્સાનનું સર્વે કરી વળતર આપવામાં આવે તેવી ખેડુતોએ સરકાર પાસે માંગ કરી છે.
સાતુંન ગામના ખેડૂત મહાદેવભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, સાતુંન કમાલપુર, દેરાણા, સરકારપુરા સહિત 10 ગામોમાં બે દિવસ પહેલા ભારે વરસાદ થયો છે, જેને કારણે ખેડૂતોએ વાવેલ તમામ ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. જ્યારે તાજેતરમાં સાતુંન ગામમાં 9 ઇંચ જેટલો વરસાદ પડયો છે અમારા ગામમાં ખેડૂતોએ 2000 એકરમાં ચોમાસુ પાકની વાવણી કરી પરંતુ ભારે વરસાદને લઈને સો ટકા પાક નિષ્ફળ ગયો છે. તો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી શરૂ કરીને ખેડૂતોને પાક નિષ્ફળની સહાય ચૂકવવામાં આવે તેવી એમો માગ કરી રહ્યા છીએ.