![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/03.jpg)
પાટણમાં સૂફી સંત મામુ-ભાણેજના ઉર્સની ઉજવણી
પાટણ એ પ્રાચીન, ઐતિહાસિક નગર ઉપરાંત વિવિધ સંપ્રદાયોના મહાન સૂફીસંતોની ભૂમિ રહી છે. અહીં વિવિધ ધર્મોના સૂફી, સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતા અને અસ્મિતામાં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરને ગૌરવશાળી બનાવી રહી છે.સદીઓથી વિવિધ સંપ્રદાયના સૂફી સંતોનો ઉદેશ એકતા, સૌહાર્દ અને સદભાવનાનો રહ્યો છે. પાટણની આ ઐતિહાસિક ભૂમિને પોતાની કર્મભૂમિ બનાવીને આવા સૂફી સંતો હિન્દુ – મુસ્લિમ કોમી એકતા, ભાઈચારો અને આસ્થાના પ્રતિક રહ્યા છે. આવા જ મહાન સૂફી સંત હજરત મામૂ ભાણેજ (ર.અ.) જેઓની મજાર પાટણ શહેરના કાજીવાડા વિસ્તારમાં આવેલી છે. અહીં ઈસ્લામિક કેલેન્ડર વર્ષના રજબ મહિનામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજે ધર્મમય માહોલમાં તેઓનો ઉર્શ ઉજવાયો હતો.
આ ઉર્શ પ્રસંગે મામુ ભાણેજની મજાર પર ફાતિહા ખ્વાની અને ચાદરપોશી કરી સમગ્ર વિશ્વમાં માનવજાત નફરત ઘૃણા, દુરાચારના અંધકારમાંથી બહાર આવી એકતા, સદભાવના અને સદાચારનું પાવનપુંજ પ્રકાશિત થાય તેવી દુઆઓ કરવામાં આવી હતી. ઉર્શ પ્રસંગે રાત્રીના સમયે નાતખ્વાનીનું આયોજન કરી ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. ઉર્ષમાં નાના બાળકો માટે મનોરંજન સહિત વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને ચકડોળએ આકર્ષણ જમાવ્યું હતું.આ કાર્યક્રમમાં મજારના ખાદિમ અને મુસ્લિમ સમાજના અગ્રણી હુસેનમિયા સૈયદ (ભૂરાભાઈ)ની સાથે ઉસ્માનભાઈ શેખ, યાસીન મીરઝા, અયાન સૈયદ, શરીફભાઈ પીરજાદા, નજીરભાઈ મકરાણી, મુન્નાભાઈ, પપ્પુખાન વગેરે અકીદતમંદો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી અને પાટણ શહેર તેમજ દેશની એકતા અને સલામતી તેમજ સર્વના કલ્યાણ માટે દુઆઓ કરવામાં આવી હતી.