![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/20-5.jpg)
પાટણમાં હાઇવે ઉપર ત્રણ સ્કુટર સવારોનાં મોત નિપજાવનારા બસ ડ્રાયવરને એક વર્ષની સજા અને 5500નો દંડ
પાટણ-ડીસા હાઇવે ઉપર પાટણ તરફથી માતરવાડી તરફ જતાં નિમા છાત્રાલય પાસે રોડ ઉપર અકસ્માત સર્જીને ત્રણ જણાને મોતને ઘાટ ઉતારવાનાં આરોપસર પાટણની જ્યુડિસીયલ કોર્ટે એસ.ટી. બસનાં ચાલકને દોષિત ઠેરવીને આઇપીસી 304(એ) અંતર્ગત એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સજા તથા આઇપીસી 279 અંતર્ગત ત્રણ માસની સજા અને રૂા. 500નો દંડ અને દંડ ન ભરે તો વધુ દસ દિવસની સજા તથા એમ.વી. એક્ટની કલમ-184 માં એક માસની સાદી કેદની સજા ફટકારી હતી.કોર્ટે પોતાનાં 62 પાનાના- ચૂકાદામાં જણાવ્યું હતું કે, આરોપી એસ.ટી.નાં ચાલકની બેદરકારીનાં કારણે આ અકસ્માત થયો હતો અને તેમાં ત્રણ જણાએ જીવ ગુમાવ્યા છે ને તેઓ સ્થળ ઉપર જ જીવ ગુમાવ્યા છે. સરકારી વકીલ કે.સી. વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ પોતાની એસ.ટી. બસથી જે ઇટોં ચાલકને અકસ્માત કરેલ છે તેમાં બે પુખ્ત વ્યક્તિ અને બે નાના બાળકો બેઠેલા હતાં. જેમાંથી કુલ ત્રણ જણા એટલે કે, બે વ્યક્તિ અને એક નાનું – બાળક સ્થળ ઉપર જ અકસ્માતની ઇજાઓનાં કારણે મૃત્યુ પામ્યા હતા. આ આરોપીએ જે બેદરકારીપૂર્વક વાહન હંકારેલ તે કારણે જ તેઓનું મૃત્યુ થયેલ છે અને રસ્તા ઉપર હવે જે અકસ્માતમાં મૃત્યુ થાય છે તેનો આંકડો જોતાં ગંભીર રીતે વધી રહ્યો છે અને દિનપ્રતિદિન ઘણા માણસો અકસ્માતનાં કારણે પોતાનો જીવ અને કુટુંબમાંથી વાલી વ્યક્તિઓ ગુમાવી રહ્યા છે અને હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટે પણ જ્યારે અકસ્માતમાં મૃત્યુ થયેલ હોય ત્યારે પ્રોબેશનનો લાભ ન આપવા ચૂકાદાઓ આપેલ છે. આ કામે જે રીતે લોકો રસ્તા ઉપર બેફામ પૂર્વક વાહન ચલાવે છે તે જોતાં કાયદામાં જણાવેલ સજા કરવા રજૂઆત કરી હતી.આ કેસની વિગતો એવી છે કે, તા. 26-3-2017નાં રોજ સવારે 10 વાગ્યાનાં સુમારે પાટણ-ડીસા હાઇવે ઉપર પાટણનાં માતરવાડી રોડ ઉપર ગોપાલક હાઇસ્કૂલ- છાત્રાલય-નિમા વિદ્યાલય પાસે રોડ પરથી પસાર થતી ને પાટણથી ચારૂપ ગામે જતી એક એસ.ટી. બસે એક રીક્ષાને ઓવરટેક કરીને આગળ જતાં સામેથી આવતા ઈશ્વરભાઈ ત્રિકમભાઇ સ્કૂટર લઈને આવ્યા હતા. આ સ્કૂટર પર તેમનાં પત્નિ, પુત્ર હતાં. તેઓના સ્કૂટરને આ એસ.ટી. બસે ટક્કર મારતાં ત્રણે જણા નીચે પટકાયા હતા. તેઓને ‘108’માં પાટણની ધારપુર સિવિલમાં લઇ જવાતાં તેમને ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતાં.