![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-315.jpg)
પાટણથી ખલીપુર સુધી ભક્તિ સભર માહોલમાં બાબારી બાઈક યાત્રા નીકળી
ભાદરવા સુદ બીજના રોજ લીલા નેજાધારી બાબા રામદેવ પીરનો જન્મોત્સવ છે. ત્યારે બાબા રામદેવ પીરના જન્મોત્સવને યાદગાર બનાવવા સોમવારના રોજ પાટણના પનોતા પુત્ર અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ અને તેમનાં પરિવારજનો દ્વારા પાટણથી ખલીપુર બાબારી બાઈક યાત્રાનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ શાકાર પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાન પામેલી બાબારી બાઈક યાત્રામાં અંદાજિત 500 વધુ બાઈકો, 10 ફોર વ્હીલ સાથે બાબારી ભક્તોનો કાફલો બાબા રામદેવનાં નેજા સાથે જોડાયો હતો. કે.સી.પટેલ અને તેમના પરિવારજનો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓની આગેવાની હેઠળ બાબારી યાત્રા પ્રસ્થાન પામી શહેરના રેલવે સ્ટેશન, બગવાડા દરવાજા,હિગળા ચાચર, ત્રણ દરવાજા, કનસડા દરવાજા, બી.ડી.હાઈસ્કુલ થઈને ખલીપુરના શ્રી બાબા રામદેવ પીર મંદિર ખાતે પહોંચી હતી. ખલીપુરના શ્રી રામદેવપીર મંદિર ખાતે બાબારી બાઈક યાત્રાનું મંદિરના પુજારી સહિત સેવક ગણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.