![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/05-1.jpg)
સિદ્ધપુર સિવિલમાં અખિયા મિલાકે રોજના 100 થી વધુ આંખના કેસ નોંધાયા
સિદ્ધપુર શહેરના વિવિધ વિસ્તારોમાંવાઇરલ કન્જેક્ટિવાઇટીસે માથું ઊંચક્યું છે. સિવિલમા આંખના વિભાગના ડોક્ટર અમીબેન એ જણાવ્યું હતું કે, હોસ્પિટલની ઓપીડીમાં રોજના 30થી 40 જેટલા કેસ માત્ર વાઇરલ કનજેક્ટિવાઇટીસના હોય છે. ગતરોજ સવાર થી કન્જેક્ટિવાઇટીસના દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો અને સવારથી બપોર સુધી 47થી વધુ કેસો નોંધાયા હતા.ભેજને કારણે દર્દીને એક આંખમાં ચેપ લાગ્યા બાદ બીજી આંખમાં પણ ફેલાય છે. આ કેસોમાં વધારો થતો જોવા મળ્યો હતો. રોજના 100 થી વધુ કેસો નોંધાયા હતા અને ગયા અઠવાડિયાથી આજદિન સુધી 854 કન્જેક્ટિવાઇટીસના કેસો નોંધાયા હતા. સિદ્ધપુર શહેર અને તાલુકામાં કન્જેક્ટિવાઇટીસનો ફેલાવો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે શહેરમાં વાલીઓ પોતાના બાળકના રક્ષણ માટે બાળકોને ચશ્મા પહેરીને શાળાએ મોકલતા હોય છે.પરિવારમાં એક વ્યક્તિ બાદ ઘરની અન્ય વ્યક્તિ પણ આ રોગની લપેટમાં આવી જાય છે. આ રોગના લક્ષણો દર્દીને આંખમાંથી સતત પાણી નીકળ્યા કરે, આંખના પોપચામાં પીયા કે ચીકાશ થાય, સવારે આંખના પોપચા ચોંટી જાય તેમજ ક્યારેક આંખના પોપચાનો સોજો અને સખત દુખાવાની ફરિયાદ જોવા મળે છે. દર્દીએ શું સાવધાની રાખવી દર્દીએ ગોગલ્સ પહેરવા અને દિવસમાં ત્રણથી ચાર વાર હૂંફાળાં પાણીથી આંખ સાફ કરવી, દર બે કલાકે આંખમાં એન્ટિબાયોટિક્સ ડ્રોપ્સ નાખવા, દર્દીનાં કપડાં અને રૂમાલ અલગ રાખવા.સિદ્ધપુર સિવિલના ડૉ.રેખાબેન કેલાએ જણાવ્યુ કે અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી વધુમાં પરિવારના કોઈ સભ્યને કનઝક્ટીવાઈટીસની અસર થઈ હોય તો તેને પોતાનો હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો. વાઇરલ કનઝક્ટીવાઈટીસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી.