સિદ્ધપુર એ.પી.એમ.સી ખાતે એક પેડ માં કે નામ કેમ્પેઇન અંતર્ગત ૧૦૦૦ જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું
ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિ સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને એક પેડ માં કે નામ કેમ્પેઇન અંતર્ગત વૃક્ષોના રોપા અને પાંજરાઓનું વિતરણ કરાયું હતું. જેમાં ૧૦૦૦ જેટલા રોપા અને પાંજરાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક જાગૃતિ સંદેશના ભાગરૂપે એક પેડ માં કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુરનાં એ.પી.એમ.સી ખાતે આયોજીત આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સતત દેશની ચિંતા કરી રહ્યા છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૪ થી ખૂબ જ પ્રમાણમાં વૃક્ષોનું પ્રમાણ વધે તેવી વ્યવસ્થા કરી હતી. આજે દરેક ક્ષેત્રમાં વૃક્ષોનું પ્રમાણ વધે, મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે આપણે સાથે મળીને દરેકે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ ફક્ત વૃક્ષો વાવેતર જ નહીં પરંતુ તેનું જતન પણ આપણે કરવું જોઈએ જેમ કે આપણે આપણા બાળકને કેટલી જવાબદારી પૂર્વક સાચવીએ છીએ અને તેને મોટું કરીએ છીએ, પાલનપોષણ કરીએ છીએ તેવી જ રીતે વૃક્ષોનું પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. આપણી આવનારી પેઢી માટે પર્યાવરણ જળવાઈ રહે તેવું ભગીરથ કાર્ય આપણે કરવાનું છે. સિદ્ધપુર તાલુકામાં દરેક ગામમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર થાય તેવો એક સંકલ્પ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એ.પી.એમ.સી ના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, વાઈસ ચેરમેન બાબુલાલ પટેલ, ઈન્ચાર્જ સેક્રેટરી જસવંતભાઈ પટેલ સહિત ડિરેક્ટર ગણ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, સેવા સહકારી મંડળીઓના પ્રમુખ તેમજ મંત્રીઓ, વિવિધ કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.