અમરનાથની ગુફામાં પાટણના યુવકનું મોત, વિમાન મારફતે મૃતદેહ વતન લવાયો
પાટણ શહેરનાં ચાર યુવા મિત્રો પૈકી એક મિત્રનું યાત્રાધામ અમરનાથનાં દર્શનાર્થે જતાં તેનું દર્શનની ગુફાથી 10 કિ.મી. દૂરનાં અંતરે અહીં ઓક્સિજન ઘટી જવાનાં કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં તે ઘોડા ઉપર જ ઢળી પડ્યો હતો. તેનું ત્યાં જ અવસાન થતાં તેનાં પરિવારમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું. મૃતક હાર્દિક મુકેશભાઈ રામી (ચિન્ટુ)નાં પાર્થિવદેહને સરકારની મદદથી શ્રીનગરથી અમદાવાદ વિમાન મારફતે લવાયો હતો. જ્યાંથી વતન પાટણ લવાતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
જમ્મુ-કાશ્મીરનાં પવિત્ર યાત્રાધામ અમરનાથયાત્રા પ્રવાસે ‘બરફીલા બાબા’નાં દર્શનાર્થે તા. 15મી જૂલાઇએ પાટણનાં ચાર મિત્રો હાર્દિક મુકેશભાઇ રામી, આશિત હેમંતભાઈ તન્ના, નીશુ ઠક્કર અને ક્રિશ પ્રજાપતિ જવા પ્રસ્થાન કર્યુ હતું. આ ચારેય મિત્રો પૈકી મંગળવારે તા. 19મી જૂલાઇની સવારે 10 વાગે યાત્રાનાં માર્ગમાં હતા, ત્યારે ગુફાથી 10 કિ.મી. દૂર હાર્દિક મુકેશભાઇ રામીની તબીયત એકાએક લથડી હતી. અહીંની હવામાં ઓક્સિજન ઘટતાં તેનો શ્વાસ રુંધાઇ જતાં તે ઘોડા ઉપર જ ઢળી પડતાં આસપાસમાંથી લોકો અને અન્ય યાત્રાળુઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધી તે શિવધામમાં પહોંચી ગયો હતો.