પાટણમાં મહોરમના તાજિયા ઉત્સવ સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
પાટણમાં શહેર માં યોજાનારા મુસ્લિમ બિરાદરોનાં તાજિયા ઝુલુસ સંદર્ભે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાટણનાં એસ.પી. વિજય પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકને સંબોધતા એસ.પી. વિજય પટેલે જણાવ્યું કે, પાટણ શહેરમાં મોટા ભાગે તમામ તહેવારો કોમી એખલાસથી યોજાય છે. આપણે પાટણમાં મારા કાર્યકાળમાં બે રથયાત્રાઓ અને રામનવમી તથા એક તાજિયા ઝુલુસનાં પ્રસંગો ખૂબ જ શાંતિ પૂર્વક પ્રસાર કર્યો હતો. પાટણમાં ગઇ વખતે તાજિયા ઝુલુસ દરમ્યાન તેનાં આયોજકોએ પોલીસની સાથે રહીને તમામ બાબતોનું નિયમન કર્યું હતું ને પોલીસને મદદરૂપ બન્યા હતાં. આ વખતે પણ પાટણનાં તાજિયા ઝુલુસમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત મળી રહેશે. ફોર્સ આપી દેવામાં આવ્યો છે. તેમણે આગેવાનોને જણાવ્યું કે, પોલીસ દ્વારા જે સૂચના અપાય તેનું પાલન કરીને પ્રસંગને સમયસર પૂર્ણ કરાય તેવી આશા રાખું છું. આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી કાસમભાઇ સૈયદે તહેવાર સંદર્ભે જાણકારી આપતાં કહ્યું કે, પાટણમાં સરકારી તાજિયો છે.જેને ગ્રાન્ટ પણ ફાળવાય છે. તથા તાજિયાનાં સ્વાગતની પરંપરા આજે પણ જળવાય છે. તેમણે કહ્યું કે, પાટણ પોલીસ પોલીસ છે. પણ તે પરિવાર જેવી લાગે છે. પોલીસને દરેકની ચિંતા હોય છે. તેઓએ ઉપર પણ જવાબ આપવાનો હોય છે. દર વખતે તાજિયાનાં ઝુલુસ ઠંડા કરવા સુધીમાં વિલંબ થાય છે. તેના માટે સખ્તાઇ કરવી ન પડે તેવી વ્યવસ્થા રાખવા જણાવ્યું હતું. તેમણે રોડ રસ્તાનાં ખાડા ટેકરા તથા વાયરો ઊંચા લેવા રજૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ ફારૂક મનસુરીએ પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે બંને પક્ષનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.