![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/29.jpg)
પાટણના હારીજમાં પરિણીતાએ પુત્રી અને પ્રેમી સાથે કરી આત્મહત્યા
હારિજ તાલુકાના અસાલડી ગામની યુવતી હેતલબેન વિરમભાઈ નાનજીભાઈ ઠાકોરના લગ્ન 5 વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના ઉંબરી ગામે કિરણજી દલસુખજી ઠાકોરની સાથે થયા હતા. બંને પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હોવાથી સાત મહિનાથી યુવતી તેના પિયર અસલડી ગામે તેના કાકા ભેગી રહેતી હતી. જેને સંતાનમાં એક બે વર્ષની દિકરી પણ હતી. ત્યારે ગુરૂવારના રોજ સવારે તેના સમગ્ર પરિવારજનો ખેતી કામ અર્થે ખેતરે ગયેલા હતા. તેમજ ટિફિન બનાવવા માટે નાની દીકરી અને યુવતીને ઘરે રાખ્યા હતા.
દરમિયાન બપોરે ટિફિન લઈને યુવતી ન આવતા તેના ભાઈએ તપાસ હાથ ધરી હતી. જોકે, શ્રદ્ધા અને હેતલ બંને ક્યાંય દેખાયા નહીં એટલે ગામમાં અને સગા સંબંધીના ત્યાં પૂછપરછ કરતા ક્યાંય પતો લાગ્યો ન હતો. જેથી યુવતીના કાકા ગણાજી નાનજીજી ઠાકોરે હારીજ પોલીસ સ્ટેશને યુવતી હેતલ અને 2 વર્ષની શ્રદ્ધા ગુમ થયાની જાણ કરી હતી. ત્યારબાદ કેનાલ ઉપર તપાસ કરતા ગામના જ યુવક વિજયજી અમૃતજી ઠાકોરનું અને હેતલબેન વિરમજી ઠાકોરના ડોક્યુમેન્ટ નર્મદા કેનાલની બાજુમાંથી મળી આવ્યા હતા. જેને પગલે બંનેએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટને ઘટનાની જાણ કરતા તાબડતોડ આજ રોજ બપોર બાદ ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે આવી શોધખોળ આદરી હતી. જેમાં સવારે ગામનો યુવક વિજયજી અને હેતલ અને નાની દીકરી શ્રદ્ધાની લાશ મળી આવી હતી. ત્રણેયની લાશ દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવી હતી. તેમજ ત્રણેયે કાળા કલરના કપડા પહેરીયા હતા. જેઓની લાશને હારિજ સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી છે.