પાટણના પદ્મનાભના મેળામાં અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાથજીના કારતક સુદ ચૌદસથી શરૂ થયેલા અને રેવડિયા મેળા તરીકે પ્રસિદ્ધ પામેલા સપ્ત રાત્રી મેળા કારતક વદ પાંચમને શનિવારે ભક્તિમય માહોલમાં હજારો ભકતોની ઉપસ્થિતમા સંપન્ન થયો હતો.પાટણના પદ્મનાભ પ્રભુના સપ્તરાત્રી મેળાના અંતિમ દિવસે સવારથી જ શ્રદ્ધાળુ ભકતો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે ઉમટી પડતા ભારે ભીડ જામી હતી. છેલ્લા દિવસના મેળા દરમિયાન પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત શ્રદ્ધાળુઓએ મંદિરની પ્રદિક્ષણા કરી હતી તો વિજાપુર, વડોદરા અને દૂર દૂર રહેતાં ઉદા પટેલ ભક્તોએ પરિવારજનો સાથે મોટી સંખ્યામાં પધારી પોતાની બાધા માનતા પૂર્ણ કરી પોતાના બાળકોની મુંડન વિધિ કરી ગોળથી જોખવામાં આવ્યાં હતા.
સવારે પદ્મનાભ પ્રભુને અવનવા રંગબેરંગી ફુલોનો શણગાર સજાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનની મહાઆરતી કરાઇ હતી. પદ્મનાભ પ્રભુની મોડી રાત્રીએ ભક્તિ સંગીતના સુરો અને ફટાકડાની આતશબાજી વચ્ચે જ્યોત સ્વરૂપે નિકળેલી રવાડીના દર્શન માટે પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત અઢારે વર્ણના લોકોએ ઉપસ્થિત રહી રવાડીના દર્શન સાથે રેવડીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.શ્રી પદ્મનાભ ભગવાન ના સપ્ત રાત્રી મેળા દરમ્યાન વાડી પરિસર ખાતે ઉભા કરાયેલા મનોરંજનના સાધનોની અબાલ વૃધ્ધ સૌએ મજા માણી ખાણીપીણીના સ્ટોલ પર વિવિધ વાનગીઓની મિજબાની માણી સપ્ત રાત્રી મેળાને યાદગાર બનાવ્યો હતો. ભગવાન શ્રી પદમનાભના સપ્ત રાત્રી મેળાના અંતિમ દિવસે છેલ્લા 16 વર્ષથી ૐ ગૃપ દ્રારા આયોજિત કરાતા ચોખ્ખા ધી ના સીરાના પ્રસાદનું ચાલુ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તો ઉદા ભક્તો દ્વારા નવ્ય ભવ્ય તૈયાર કરવામાં આવેલ કબીર સાહેબના મંદિર ને પણ દર્શનાર્થીઓ માટે આજના પાવન દિવસે ખુલ્લુ મુકવાનો ધાર્મિક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો.ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્ત રાત્રી મેળાના આયોજનને શાંતિ પુર્ણ માહોલમાં સંપન્ન બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી પદ્મનાભ ઉત્સવ સમિતિ સહિત સમાજના આગેવાનો, યુવાનો સહિત જિલ્લા પ્રસાસન, પોલીસ તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.