![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/24-3.jpg)
સિધ્ધપુરમાં કેટલાક સ્થળોએ ફાયર વિભાગની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરી
પાટણ જિલ્લામાં બહુમાળી બિલ્ડીંગો, કોમ્પ્લેક્ષ, પાર્ટી પ્લોટો, હોસ્પિટલો, શાળા કોલેજો સહિતના વિસ્તારોમાં અગ્નિસામક સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે આકસ્મિક આગ લાગવાની ઘટનામાં અનેક લોકો મોતને ભેટતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે.ત્યારે આવી ઘટનાઓને રોકવા અને આવી ઘટનાઓ બને તો તેને સમયસર પહોંચી વળવા સરકાર દ્વારા કડક નિયમ લાગુ કરી ફાયર સેફ્ટીની સુવિધાઓ ફરજિયાત પણે ઉપલબ્ધ બને તે માટેના ચક્રો ગતિમાન બનાવ્યા છે.પાટણ જિલ્લા ફાયર વિભાગ દ્વારા પાટણ શહેર સહિત જિલ્લાના તાલુકા મથકો ઉપર બહુમાળી બિલ્ડીંગો, કોમ્પ્લેક્ષ, હોસ્પિટલો, શાળા કોલેજો, પાર્ટી પ્લોટો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરી ફાયર સેફ્ટીની સુવિધા ન હોય તેવા લોકોને નોટિસો આપી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ બનાવવા ફરજ પાડવામાં આવી રહી છે.પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરમાં ગુરૂવારના રોજ પાટણ જિલ્લા ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદી અને તેમની ટીમ દ્વારા સિદ્ધપુરના શ્રી સ્થળ, સરકારી સ્પોર્ટ સંકુલ, ગંગા વાડી, મહાદેવ જનવાડીની આકસ્મિક તપાસ હાથ ધરી હતી.જે તપાસ દરમિયાન પુરાતત્વ વિભાગ સંચાલિત શ્રી સ્થળમાં ફાયર સેફ્ટીની સુવિધા જોવા મળી હતી પરંતુ તે સુવિધા બંધ હાલતમાં હોવાનું ધ્યાનમાં આવતાં નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, શ્રી સ્થળ ના ફરજ પરના સંચાલિકા તેજલ પરમાર દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા કાર્યરત બનાવવા માટે વિભાગના અધિકારીઓને પત્ર લખી જાણ કરી હોવાનું જણાવી આ સુવિધા ત્વરિત શરૂ થશે તેવી હૈયાધારણા આપી હતી. તો સરકારી સ્પોર્ટ સંકુલ તેમજ ગંગાવાડી અને મહાદેવ જનવાડીની મુલાકાત લઈ ફાયર સેફ્ટી બાબતે નિરિક્ષણ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હોવાનું પાટણ જિલ્લા ફાયર ઓફિસરએ જણાવ્યું હતું.