![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/01/19-12.jpg)
પાટણની કેન્દ્રીય વિદ્યાલય ખાતે યોજાયેલી સ્પર્ધામાં 100વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “પરીક્ષા પે ચર્ચા 2024” કાર્યક્રમ હેઠળ, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (મુખ્યાલય), નવી દિલ્હી અને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મંગળવારે 660 કેન્દ્રીય વિદ્યાલયોમાં જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કેન્દ્રીય વિદ્યાલય, પાટણ શાળાના પ્રાંગણમાં કરાયું હતું. જેમાં કેન્દ્રીય વિદ્યાલય પાટણ, જવાહર નવોદય વિદ્યાલય પાટણ, શ્રીમતી કે.કે. કન્યા વિદ્યાલય, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, ક્રિષ્ના ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, શેઠ એમ.એન. ઉચ્ચ શાળાઓ અને અન્ય CBSE અને રાજ્ય બોર્ડની શાળાઓના કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત કેન્દ્રીય વિદ્યાલય પાટણના આચાર્ય મહેન્દ્રસિંહ દ્વારા મુખ્ય મહેમાન અને જ્યુરી સભ્યોનું સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ચિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ પુસ્તક “એક્ઝામ વોરિયર્સ” ના મૂળભૂત મંત્રો પર આધારિત હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ચંદ્રયાન, આદિત્ય એલ-1, રમતગમતમાં ભારતની સફળતા, વિકસિત ભારત, નેતાજી સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા સમકાલીન વિષયો પર ચિત્રકામમાં તેમની કુશળતા રજૂ કરી હતી.પ્રચાર પસાર પ્રભારી રાકેશકુમાર પરમાર ના જણાવ્યા મુજબ સ્પર્ધાના પાંચ વિજેતાઓને પ્રમાણપત્ર અને પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા. અન્ય તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલ પુસ્તક “પરીક્ષા વોરિયર્સ” પ્રદાન કરવામાં આવ્યું હતું.