રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ગુજરાત અને સૌરાષ્ટ્રનો સંયુક્ત સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ પાટણ નગરની ભગવતી ઈન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે કરવામાં આવ્યો હતો. ત્યારે મંગળવારે આ વર્ગમાં કુલ ૧૦ વિભાગના ૩૭ જિલ્લામાંથી કુલ ૨૫૯ શિક્ષાર્થીઓ કુલ ૩૨ શિક્ષકો દ્વારા સંઘકાર્ય વિસ્તાર અને દૃઢીકરણ માટે વિવિધ પ્રકારનું શારીરિક અને બૌદ્ધિક પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પથ સંચલનમાં જોડાયા હતા.
શિક્ષાર્થીઓ પોતાના દૈનિક જીવનમાં સમયના મહત્તમ અને અસરકારક ઉપયોગથી સ્વસ્થ અને સ્વદેશી જીવન પદ્ધતિના પાઠ અંગેનું પણ પ્રશિક્ષણ મેળવ્યા બાદ શિસ્ત, સંયમ, અને વાધ્યો ના તાલે લયબદ્ધ પથ સંચલનમાં જોડાયા હતા ખાસ કરીને સંચલનમાં આનક, પ્રણવ, ઝલ્લરી, વંશી, શંખ અને ઘોષ-દંડ ની લય બદ્ધતા આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ સંચલન ભગવતી ઇન્ટરનેશનલ સ્કુલ, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી, યુનિવર્સિટી થઇ ટી. બી.ચાર રસ્તા થઇ કોલેજ કેમ્પસ ખાતે સમાપન થયું હતું. પથસંચલન નું પાટણના નગરજનોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

