પાલિકા તંત્ર દ્વારા માખણીયા તળાવ ના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવામાં ઉદાસીન હોવાના આક્ષેપો ઉઠયાં.
પાટણના માખણિયા તળાવ નો પાળો શુક્રવારે રાત્રે પડેલા ભારે વરસાદ ના કારણે ફરી એક વખત તૂટતા તળાવમાં સંગ્રહ કરાયેલ શહેરના ભૂગર્ભ ગટરના પાણી ફરી એક વખત વિસ્તારના ખેડૂતો ના ખેતરોમાં ફરી વળતા ખેડૂતો ના વાવેતર કરાયેલ પાકોને ભારે નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પાટણના માખણિયા પરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણીએ ખેડૂતો માટે મોટી સમસ્યા સર્જી છે. ગત રાત્રે વરસાદના કારણે તળાવનો પાળો તૂટી જતાં ગટરનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે. આ કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે.
આ બાબતે સ્થાનિક ખેડૂત જયેશ પટેલે જણાવ્યું કે, તળાવમાં ભૂગર્ભ ગટરનું પાણી આવવાથી ખેતરો જળબંબાકાર થયા છે. દુર્ગંધયુક્ત અને પ્રદૂષિત પાણીથી ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ અગાઉ પણ ણ 15 દિવસ પહેલા પણ પાળો તૂટવાથી ખેડૂતોને નુકસાન થયું હતું. ત્યારબાદ ફરી વાવણી કરી હતી, પરંતુ હવે ફરીથી તળાવનો પાળો તૂટવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. નગરપાલિકાના અયોગ્ય આયોજનને કારણે આ સમસ્યા ઉદ્ભવી છે.તો સ્થાનિક રહીશો અને ખેડૂતોએ પાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ ગટરના પાણીને અટકાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ઘટના મામલે સ્થળ પર પહોચેલા વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટિયાના જણાવ્યા મુજબ, ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને અન્ય પદાધિકારીઓ માખણિયા ગામના લોકો અને ખેડૂતોની સમસ્યા પ્રત્યે ધ્યાન આપતા નથી. વહીવટી નિષ્ક્રિયતાને કારણે દર વખતે વિસ્તારના ખેડૂતોને નુકસાન ભોગવવું પડે છે. ત્યારે ખેડૂતો અને આ વિસ્તારમાં રહેતા લોકોને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા નકકર કામગીરી કરવામાં આવે તેવી માગ તેઓ દ્રારા કરવામાં આવી હતી. તો માખણીયા તળાવની આ સમસ્યાને કારણે પરેશાની ભોગવી રહેલા ખેડૂતો સહિત ના રહિશો પાલિકા તંત્ર ને ઢંઢોળવા રૂબરૂ પાલિકા ખાતે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

