યુનિવર્સિટી કેમ્પસમાં મનોવિજ્ઞાન કેન્દ્ર શરૂ કરાશે : કુલપતિ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની કારોબારી સમિતિની બેઠક કુલપતિ પ્રો. કે. સી. પોરીયા ના અધ્યક્ષ પદે યોજાઈ હતી.આ બેઠકમાં કુલ 20 જેટલા કામોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી.આ બેઠકમાં એક વિદ્યાર્થી દ્વારા ખોટું એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ-ABC ID બનાવવામાં આવ્યું હોવાનો અને તેણે પરીક્ષા પણ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ વિદ્યાર્થી એક વિષયમાં પાસ થયો હતો. જ્યારે બીજા વિષયમાં નાપાસ થયો હતો. યુનિવર્સિટીને આ બાબતની જાણ થતાં, ખોટું ABC ID બનાવવા બદલ વિદ્યાર્થી પાસેથી એફિડેવિટ લેવાનો અને નિયમ મુજબ દંડની ફી વસૂલવાનો નિર્ણય કરાયો હતો. ભવિષ્યમાં આવા કિસ્સામાં પણ વિદ્યાર્થીએ એફિડેવિટ કરાવવું પડશે.
આ ઉપરાંત, યુનિવર્સિટી કેમ્પસ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ગ્રૂપ ઇન્સ્યોરન્સ લેવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા અધ્યાપકોને લેક્ચર દીઠ અઢીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. અગાઉ યુનિવર્સિટી દ્વારા આ રકમમાંથી 20% વહીવટી ચાર્જ કાપી લેવામાં આવતો હતો. હવે યુનિવર્સિટીએ આ વહીવટી ચાર્જ ન કાપવાનો અને અધ્યાપકોને પૂરી રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે.આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં મનોવિજ્ઞાન કેન્દ્ર શરૂ કરવામાં આવશે. કુલપતિ કે.સી.પોરીયાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં આ કેન્દ્ર કાર્યરત થઈ જશે, જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા સંબંધિત સલાહ-સૂચન પણ મેળવી શકશે.આ બેઠકમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ, આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર કમલભાઈ મોઢ, ઈસી મેમ્બર મુકેશભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

