પ્રભારી સચિવે જર્જરિત જૂની મામલતદાર કચેરી હારીજ તથા શંખેશ્વર- પંચાસર બ્રીજનું નિરીક્ષણ કરી વર્તમાન મોજૂદા સ્થિતિની સમીક્ષા કરી…!
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાની તાત્કાલિક મરામત હાથ ધરવા અને ક્ષતિગ્રસ્ત માર્ગો તથા પુલોના નવીનીકરણ માટે દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે. રોડ નેટવર્ક પૂર્વવત્ સુગમ બને એ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને રોડ રસ્તા, બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના પ્રભારી સચિવ મમતા વર્માએ સોમવારે હારીજ મામલતદાર કચેરી ખાતે જિલ્લા વહીવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પ્રભારી સચિવ મમતા વર્માએ જર્જરિત જૂની મામલતદાર કચેરી હારીજ તથા શંખેશ્વર પંચાસર બ્રીજનું સ્થળ નિરીક્ષણ કરી વર્તમાન મોજૂદા સ્થિતિની સમીક્ષા કરી હતી.
પ્રભારી સચિવ મમતા વર્માએ બ્રીજનું નિરિક્ષણ-સ્થળ તપાસણી કરી બ્રીજની વર્તમાન સ્થિતિ, બ્રીજ પરનો વાહન વ્યવહાર, લોકોની અવર જવરને લઈને અવલોકન કર્યુ હતુ. જિલ્લામાં જર્જરિત બ્રીજ સહિતની બાબતોને લઈને કોઈ દુર્ઘટના ન બને તે માટે સાવચેત રહેવા અને જરુરી તમામ કાળજી લેવા સહિતની સૂચનાઓ ઉપસ્થિત તમામ અધિકારીઓને આપી હતી.

