પાટણની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલે અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવનાર 23 વર્ષીય યુવાન અર્પિત મનુભાઈ પટેલને રૂ. 59,66,824નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ વળતર અકસ્માત સર્જનાર ટર્બો ટ્રકના ચાલક, ટ્રકના માલિક અને વીમા કંપનીએ સંયુક્ત રીતે ચૂકવવું પડશે.
પાટણના ડિસ્ટ્રિક્ટ જજ પ્રશાંત એચ. શેઠે આ આદેશ આપ્યો હતો. વળતરની રકમ અરજી દાખલ કર્યાની તારીખથી તેની પ્રાપ્તિ સુધી વાર્ષિક 9 ા દરે વ્યાજ સાથે ચૂકવવાની રહેશે. કોર્ટે આ રકમ એક મહિનામાં પાટણની ટ્રિબ્યુનલ કોર્ટ સમક્ષ જમા કરાવવા પણ નિર્દેશ આપ્યો છે. અર્પિત પટેલે મૂળ રૂ. 2 કરોડના વળતરની માંગણી કરી હતી. આ કેસમાં તેમના વકીલ આર. એમ. સોલંકીએ દલીલો રજૂ કરી હતી.આ ઘટના 20 એપ્રિલ, 2013ના રોજ સવારે લગભગ 8.45 વાગ્યે બની હતી. અર્પિત પટેલ તેમના મિત્ર ઠાકોર વિપુલજી ખેંગારજી સાથે મોટરસાયકલ પર પાટણના ખલીપુરથી બોરસણ જઈ રહ્યા હતા. મોટરસાયકલ ઠાકોર વિપુલજી ચલાવી રહ્યા હતા અને અર્પિત પાછળ બેઠા હતા.
પાટણના ટી.બી. ત્રણ રસ્તા પસાર કર્યા બાદ સિદ્ધપુર ચાર રસ્તા નજીક પહોંચતા, પાટણની નવજીવન હોટલ પાસે એક ટર્બો ટ્રકે પાછળથી મોટરસાયકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અર્પિતનો ડાબો પગ ટ્રકના આગળના ટાયર નીચે ફસાઈ જવાથી ગંભીર રીતે કચડાઈ ગયો હતો. અર્પિતને તાત્કાલિક ખાનગી વાહન દ્વારા પાટણની જનતા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમને 108 ઈમરજન્સી વાન દ્વારા મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર દરમિયાન ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં તેમનો ડાબો પગ ઘૂંટણ નીચેથી કાપી નાખવો પડ્યો હતો.
અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ અકસ્માત ટર્બો ટ્રક ડ્રાઇવરની બેદરકારીભરી ડ્રાઇવિંગને કારણે થયો હતો. કોર્ટે આ દલીલને માન્ય રાખીને અર્પિત પટેલને ટ્રક ચાલક, ટ્રક માલિક અને વીમા કંપની પાસેથી રૂ. 59,66,824નું વળતર મેળવવા માટે હકદાર ઠેરવ્યા હતા.

