પાટણ ગ્રાહક કોર્ટનો ફેંસલો: LIC ને પ્રોફેસરની 24 પોલિસીના નાણાં વ્યાજ સાથે ચૂકવવા આદેશ

પાટણ ગ્રાહક કોર્ટનો ફેંસલો: LIC ને પ્રોફેસરની 24 પોલિસીના નાણાં વ્યાજ સાથે ચૂકવવા આદેશ

પાટણ ગ્રાહક કોર્ટે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) ને પાટણના એક પ્રોફેસરને તેમની 24 વીમા પોલિસીઓની પાકતી રકમ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. પાટણ શહેરની કલાનગર સોસાયટીમાં રહેતા પ્રોફેસર મયુરકુમાર બાબુલાલ પ્રજાપતિએ 27 માર્ચ, 2005થી જીવન વીમાની ‘જીવન આનંદ’ નફા અને અકસ્માત બેનિફિટ સાથેની 24 પોલિસીઓ લીધી હતી. આ પોલિસીઓનું પ્રીમિયમ દર છ મહિને રૂ. 35,526 ચૂકવવામાં આવતું હતું.  25 સપ્ટેમ્બર, 2012 ના રોજ, મયુરકુમારે આ તમામ પોલિસીઓ તેમના પિતાને તેમની નિવૃત્તિ બાદ પાકતી રકમ મળે તે હેતુથી એસાઇન કરી હતી.

જોકે, પોલિસીઓની પાકતી મુદત પહેલા 25 ડિસેમ્બર, 2020 ના રોજ તેમના પિતાનું અવસાન થયું. પાકતી મુદતે આશરે રૂ. 24 લાખની રકમ મેળવવા માટે,મયુરકુમાર પ્રજાપતિએ પેઢીનામું, મરણનો દાખલો, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અને KYC ના દસ્તાવેજો જમા કરાવ્યા હતા. પરંતુ, LIC દ્વારા આ દસ્તાવેજો પરત કરીને મૃતકના એક કરતાં વધારે વારસદાર હોવાથી ઉત્તરાધિકાર પ્રમાણપત્રની માંગણી કરવામાં આવી હતી.આથી, મયુરકુમાર પ્રજાપતિ, તેમના માતા શારદાબેન અને બહેન દિગિશાબેને LIC ઓફ ઈન્ડિયા, પાટણ બ્રાન્ચ સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી. તેમના વકીલ દર્શકભાઈ ત્રિવેદીએ આ કેસમાં દલીલ કરી કે અરજદાર દ્વારા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં મૃતકના કાયદેસરના વારસદારોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો LIC ની પાકતી રકમ મૂળ વીમાધારક મયુરભાઈ પ્રજાપતિને આપવામાં આવે તો તેમને કોઈ વાંધો નથી. આ સંજોગોમાં ઉત્તરાધિકાર પ્રમાણપત્રની કોઈ જરૂર રહેતી નથી.

જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ એન.પી. ચૌધરીએ વકીલની દલીલ ગ્રાહ્ય રાખીને જીવન વીમા નિગમની દલીલને ફગાવી કમિશને અરજદાર મયુરભાઈને વીમા પોલિસીઓની પાકતી રકમ અરજી કર્યા તારીખથી વસૂલ આવે ત્યાં સુધી 9% ના સાદા વ્યાજ સાથે ચૂકવી આપવાનો આદેશ કર્યો. આ ઉપરાંત, ખર્ચ અને માનસિક ત્રાસ બદલ અલગથી ₹4000 ચૂકવી કમિશનને જાણ કરવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં જિલ્લા ગ્રાહક કમિશનના સભ્ય વી.એમ. સ્વામીએ પણ ચર્ચામાં ભાગ લીધો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *