પાટણ જિલ્લામાં નાના મોટા બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું…!
તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે. આગામી સમયમાં તમામ બ્રિજનું સેફ્ટી ઓડિટ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સબમિટ કરાશે.
જિલ્લા કલેકટર તુષાર ભટ્ટે ટેકનિકલ ટીમ સાથે સાંતલપુર તાલુકાના અબીયાણા – પેદાશપુરા બ્રિજ, રાધનપુર તાલુકામાં આવેલ ખારી નદી ઉપર બનેલ શબ્દલપુરા બ્રિજ તેમજ રાધનપુર – સમી તાલુકાને જોડતો બનાસ નદી ઉપર બનાવવામાં આવેલ બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ સમયે જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સંબધિત અધિકારીઓને જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા. આ નિરીક્ષણ દરમિયાન પુલોની માળખાકીય સ્થિતિ, વાહન વ્યવહારનું દબાણ, પાણી નિકાલની વ્યવસ્થા, રેલિંગ્સ, ચિહ્નો વગેરે બાબતોનું નિરીક્ષણ કરાયું હતું.

