ડીસા એસટી ડેપો ઉપર પૂછપરછ બારી પર કર્મચારી ગેરહાજર રહેતા મુસાફરો અટવાયા

ડીસા એસટી ડેપો ઉપર પૂછપરછ બારી પર કર્મચારી ગેરહાજર રહેતા મુસાફરો અટવાયા

​કલાકો સુધી પૂછપરછ બારી ખાલી રહેતા મુસાફરોમાં રોષ

બનાસકાંઠાના મહત્વના વેપારી મથક એવા ડીસા શહેરનું એસટી ડેપો છેલ્લા કેટલાક સમયથી અનેક કારણે ચર્ચામાં છે.  આજે ફરી એકવાર ડેપોની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં પૂછપરછ બારી પર કોઈ કર્મચારી હાજર ન હોવાથી દૂર-દૂરથી આવેલા મુસાફરો અટવાઈ ગયા હતા. ડેપોના સૌથી મહત્વના એવા પૂછપરછ વિભાગમાં કલાકો સુધી કોઈ કર્મચારી ન દેખાતા મુસાફરો બસના સમય અને રૂટ વિશે માહિતી મેળવવા વલખાં મારતા જોવા મળ્યા હતા. ખાસ કરીને હાલમાં હોળી- ધુળેટી પૂર્ણ થતા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મુસાફરો, મહિલાઓ અને વૃદ્ધોને બસ કયા પ્લેટફોર્મ પર આવશે ? તેની જાણકારી ન મળતા મુશ્કેલી પડી હતી.

સ્થાનીકોના મતે ડીસા એસટી ડેપો છેલ્લા ઘણા સમયથી જાણે ‘રામભરોસે’ ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ પણ સ્વચ્છતા અને બસોના અનિયમિત સમય અંગે ફરિયાદો ઉઠી ચૂકી છે. આ બાબતે ડીસાથી અમદાવાદ જતા મુસાફરે જણાવ્યું હતું કે, અમે અડધા કલાકથી બસની પૂછપરછ કરવા ઉભા છીએ, પણ બારી પર કોઈ છે જ નહીં. કોઈ જવાબ આપનાર નથી, અમારે કઈ બસમાં બેસવું ? તેની ખબર પડતી નથી.​

ડીસા એસટી ડેપોમાં મુસાફરોની સુવિધા માટે રાખવામાં આવેલી પૂછપરછ બારી મોટાભાગે ખાલી જ જોવા મળે છે. અથવા તો કર્મચારીઓ પોતાની મરજી મુજબ જવાબ પણ આપતા હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે. ડેપો મેનેજર દ્વારા આ બાબતે કડક પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં વ્યવસ્થામાં સુધારો નહીં આવે તો મુસાફરો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *