તમામ પ્રકારની કટોકટીમાં કુદરતી ઊર્જાનો વિકલ્પ, વિશ્વ માટે પ્રેરણારૂપ મોડેલ
વર્તમાન સમયમાં ગેસ બાટલાની અછત અને વધતા ખર્ચ વચ્ચે બ્રહ્માકુમારીઝ દ્વારા સૌર ઊર્જાનો અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. માઉન્ટ આબુ ખાતે આવેલ મુખ્યાલયમાં દરરોજ લગભગ 50 હજાર લોકોની રસોઈ સંપૂર્ણપણે સૂર્યશક્તિથી તૈયાર કરવામાં આવે છે, જે વિશ્વ માટે એક અનુકરણીય ઉદાહરણ બની રહ્યું છે.
મિડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા મુજબ, સંસ્થાના પૂર્વ વડા દાદી પ્રકાશમણીની દીર્ધદ્રષ્ટિના પરિણામે વર્ષ 2001 માં જ જર્મન સોલાર વૈજ્ઞાનિક બ્રધર ગોલરના સહકારથી આબુ તળેટીમાં 50 એકર વિસ્તારમાં દેશનું પ્રથમ સોલાર સબ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું. આજના દિવસે શાંતિવન સ્થિત વિશાળ સોલાર રસોડું ગેસ વગર હજારો લોકો માટે ભોજન તૈયાર કરી રહ્યું છે.
આ સાથે જ કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાની તકનીક પણ વિકસાવવામાં આવી છે, જેને સોલાર ઊર્જા સાથે સંકલિત કરી પ્રકાશ વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવાઈ રહી છે. દેશભરમાં આવેલ લગભગ 8000 સેવાકેન્દ્રોમાં પણ સોલાર સિસ્ટમનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. વર્તમાન સમયમાં વૈશ્વિક સંકટો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે કુદરતી સંસાધનોનો સદુપયોગ કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધવાનું આ મોડેલ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યું છે.



