જૈનોના મહોત્સવ ટાણે બનેલા રોડમાં બેદરકારી: કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગ : વિવાદોનો પર્યાય બની સતત અખબારોના પાને ચમકતી રહેતી ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં સેનિટેશન, પાણી પુરવઠા બાદ હવે બાંધકામ કમિટીની ગેરરીતિ પ્રકાશમાં આવી છે. શહેરના અંબિકા નગરે તેરાપંથ ભવન સામે તાજેતરમાં જ બનેલા રોડ પર ભુવો પડતા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે જ પાલિકાની પોલ ઉઘાડી કરતા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગ કરતા પાલિકા ફરી એકવાર ચર્ચાની એરણે ચડી છે. પાલનપુરમાં જૈન શ્વેતાંમ્બર તેરા પંથ સંઘ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ધાર્મિક મહોત્સવને લઈને નગરપાલિકા દ્વારા રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું હતું. જેમાં ચારેક દિવસ પહેલા જ અંબિકા નગર તેરાપંથ ભવન સામે રસ્તાનું સમારકામ હાથ ધરાયું હતું. જોકે, આ રોડ પર મોટો ભુવો પડતા રોડના કામમાં થયેલી ગેરરીતિનો ખુદ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નગીનદાસ રાઠોડે પર્દાફાશ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
શહેર ભાજપ પ્રમુખે જ પગલાં ભરવાની કરી માંગ
પાલનપુરમાં અંબિકા નગર તેરા પંથ ભવન સામે બનાસડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળના ઘર પાસેના રોડ પર મસ મોટો ભુવો પડ્યો છે. જે પોશ વિસ્તારમાં રોજની 500 જેટલી કાર સહિતના વાહનો પસાર થતા હોઇ અકસ્માતની ભીતિ સેવતા પાલનપુર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નગીનભાઈ રાઠોડે જ પાલિકાની પોલ છતી કરતા પાલિકાની બેદરકારી ગણાવી બોગસ કામગીરી કરી હોવાનું જણાવી કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માંગ કરી છે.