રૂ. 1.73 કરોડના ખર્ચે પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો; ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકા દ્વારા સરકારની અમૃત 2.0 યોજના અંતર્ગત વોર્ડ નંબર 2 માં માનસરોવર નજીક આવેલું કૈલાશ વાટિકા ગાર્ડનનું લોકાર્પણ પાલનપુરના ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. જેના ડેવલપમેન્ટ માટે કુલ રૂપિયા 1.73 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
પાલનપુરના વોર્ડ નંબર 2 માં આવેલા માનસરોવર તળાવ નજીક આવેલું કૈલાસ વાટીકા બગીચો અગાઉ કેટલાક સમયથી બિસ્માર હાલતમાં પડ્યો હતો. જોકે, પાલનપુર નગરપાલિકાના બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન પાર્થસારથી પરમાર દ્વારા શહેરના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સરકારમાં કૈલાશવાટીકા ગાર્ડનના ડેવલપમેન્ટ માટે રજૂઆત કરવામાં હતી. જેમાં સરકારના અમૃત 2.0 યોજના અંતર્ગત આ કૈલાશ વાટિકા બગીચા માટે રૂપિયા 1.73 કરોડ મંજૂર કરાયા હતા. જેમાં એક વર્ષમાં આ ગાર્ડન એજન્સી દ્વારા તૈયાર કરાયું છે. જેમાં લેન્ડસ્કેપ, ટ્રી પ્લાન્ટેશન વર્ક ,પેવર ,કર્બ ઈક્વિપમેન્ટ, ટોયલેટ બ્લોક, સોલાર લાઈટ, સીસીટીવી કેમેરા, આરો પ્લાન્ટ, સિક્યુરિટી કેબિન, સ્ટ્રોંમ વોટર લાઈન વગેરે જેવી સુવિધાઓ આ પ્રોજેક્ટ અંતર્ગત પૂર્ણ કરવામાં આવી છે.
આ બગીચાનું પાલનપુરના ધારાસભ્ય દ્વારા પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે આ લોકાર્પણ કરાયું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ, પાલનપુર ભાજપ શહેર પ્રમુખ સહિત પાલિકાના સભ્યો તેમજ પ્રબુદ્ધ નાગરિકો, ચીફ ઓફિસર, સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા. હવે આ ગાર્ડનનો લાભ પાલનપુર શહેર તેમજ આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારની જનતાને મળશે. જોકે આ ગાર્ડનની આગામી ત્રણ વર્ષ સુધી એજન્સી સાર સંભાળ લેશે અને તેનો ડેવલોપ કરશે તેવુ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

