પાલનપુરના માનસરોવર તળાવના બ્યુટી ફિકેશનની કામગીરી વચ્ચે તળાવમાં રહેલા હજારો જીવોની હત્યા અટકાવવાની માંગને લઈને જીવદયાપ્રેમીએ આંદોલન છેડી પાલિકાના નામનું નાહી નાખવાની જાહેરાત કરી છે. ત્યારે પાલનપુર વન વિભાગે પણ માનસરોવર તળાવમાં રહેલા જળચર જીવ સૃષ્ટિને પ્રતિકૂળ અસર ન પહોંચે તેની તાકીદ કરી હોવાનું સામે આવ્યું છે.
પાલનપુરના માનસરોવર તળાવના ડેવલોપમેન્ટની કામગીરી દરમિયાન તળાવમાં રહેલા સાપ, કાચબો અને માછલીઓ સહિતના હજારો જીવ બચાવવા માટે જીવ દયાપ્રેમી ડો.રવિ સોનીએ અભિયાન છેડયું હતું. જોકે, તેઓની મુહિમનું હજુ સુધી કોઈ પરિણામ ન મળતા ગતરોજ તેઓએ પાલિકા કચેરીમાં આંદોલન છેડી માથે મુંડન કરાવી પાલિકાના નામનું નાહી નાખવાનું એલાન કરતા મામલો ગરમાયો હતો. દરમિયાન, પાલનપુર વન વિભાગનો એક પત્ર સામે આવ્યો હતો. જેમાં માનસરોવર તળાવમાં રહેલા જીવોને પ્રતિકૂળ અસર ન પહોંચે તે જોવાની સાથે તેઓને સુરક્ષિત અને અનુકૂળ સ્થળની પસંદગી કરી સ્થળાંતર કરવાનો અનુરોધ કરાયો છે.
વન વિભાગનો પાલિકા ને પત્ર; પરીક્ષેત્ર વન અધિકારી પાલનપુરે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યા મુજબ, માનસરોવર તળાવમાં ઘણા વર્ષોથી પાણી ભરાયેલ રહેલ હોવાથી તેમાં વિવિધ યોનીના જળચર જીવ સૃષ્ટીનો વસવાટ થઇ ચુકેલ છે. અત્રેના વિભાગના સ્ટાફ દ્વારા સ્થળ નિરિક્ષણ કરતા આ માનસરોવર તળાવમાં તે પૈકી વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ (સુધારા- ૨૦૨૨)ની અનુસુચી-૧ માં સમાવિષ્ટ કાચબા તેમજ અન્ય અનુસુચિમાં સમાવિષ્ટ વન્યજીવો પણ જોવા મળે છે. વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ (સુધારા-૨૦૨૨)ની જોગવાઇઓ અન્વયે અનુસુચીમાં સમાવિષ્ટ વન્યપ્રાણી/પક્ષી/જીવ સૃષ્ટીને કે તેના કુદરતી રહેઠાણ/ખોરાકને નષ્ટ કરવું/નુકશાન કરવું તે ગુનો બને છે. ત્યારે માનસરોવર તળાવ ની રી- ડેવલપમેન્ટની કામગીરી દરમ્યાન વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ-૧૯૭૨ (સુધારા- ૨૦૨૨) થી સંરક્ષિત વન્યજીવ કે તેના આવાસને પ્રતિકુળ અસર ન પહોંચે તેની ખાસ તકેદારી રાખવા/રખાવવા વિનંતી છે. આ રી-ડેવલપમેન્ટ કામગીરી દરમ્યાન આ કાયદાથી સંરક્ષિત કરેલ અનુસુચીમાં સમાવિષ્ટ જળચર પ્રાણીઓને અન્યત્ર ખસેડવા/પરીવહનની જરૂરીયાત હોય તો સુરક્ષિત અને અનુકુળ સ્થળની પસંદગી કરી જીલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન અને નાયબ વન સંરક્ષક, વન્યજીવ વિભાગ, બનાસકાંઠાને દરખાસ્ત કરી સક્ષમ સત્તાની પુર્વમંજુરી – મેળવવા વિનંતી કરાઈ છે.