પાલનપુર નગરપાલિકા દ્વારા બનાવેલ આવાસના મકાનો છેલ્લાં આઠ વર્ષથી ખાઈ રહ્યા છે ધૂળ
મકાનો સદરપુર ગ્રામ પંચાયતને ફાળવાય તો ગરીબોને ઘરનું ઘર મળી શકે : સરપંચ
જિલ્લામાં આવાસ યોજનાના સર્વેક્ષણ વચ્ચે પાલિકા- નેતાઓની ઘોર બેદરકારી ઉજાગર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે ગરીબ અને વંચિતોને ઘરનું ઘર મળે. તે હેતુસર સરકાર દ્વારા રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નગર પાલિકાએ રાજીવ આવાસ યોજના તૈયાર કરવામાં એવી ઘોર બેદરકારી દાખવી કે 8 વર્ષ અગાઉ સરકારના કરોડો રૂપિયા વપરાઈ ગયા અને આવાસ ખંડેર થઈ ગયા છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ યોજનાનું મકાન મળ્યું નથી. જો કે પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે 8 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દૂરઉપયોગ થઇ ગયો. આ વાત ને 8-8 વર્ષો વીત્યા છતાંય આજદિન સુધી કોઈ લાભાર્થીને પોતાનું આવાસ મળ્યું નથી. ત્યારે હવે આ આવાસને લઈને સદરપુર ગામના સરપંચે માગણી કરી છે કે આ આવાસ જો ગ્રામ પંચાયતોને આપવામાં આવે તો અનેક ગરીબ લોકોને પોતાનું ઘરનું ઘર મળી શકે તેમ છે.
જિલ્લા મથક પાલનપુર નજીક સદરપુર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી રાજીવ આવાસ યોજના છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. પણ પાલિકા અને સરકારના પેટનું પાણી પણ હાલતું નથી.વર્ષ 2016 માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરીપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી.જોકે ત્યારબાદ નેતાઓના અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુર ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા.
આ જમીન પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી. તેમ છતાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વિના જ કરોડોના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા હતા પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ ખંડેર હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે. ત્યારે જ્યાં આવાસ બનાવવામાં આવ્યા છે તે સદરપૂર ગામના સરપંચનું કહેવું છે કે આ આવાસ કેટલાય વર્ષોથી ખંડેર હાલતમાં પડ્યા છે ત્યારે જો આ આવાસ ગ્રામ પંચાયતને સોંપવામાં આવે તો અનેક ગરીબ લોકોને ઘરનું ઘર મળી શકે તેમ છે.
આવાસ અસામાજીક તત્વોનો અડ્ડો બન્યા; પાલનપુરમાં ગરીબો માટે આવાસ યોજનાના જે મકાન બનાવવામાં આવ્યા છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે. અને તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે અસામાજીક તત્વોનો અડ્ડો બનેલ આ આવાસમાં દારૂની મહેફિલો અને ખરાબ કામો થઈ રહ્યા છે. પાલિકા દ્વારા અહીં ગંદુ પાણી પણ છોડવામાં આવી રહ્યું છે. તેથી આજુબાજુના ખેડૂતો પણ પરેશાન થઈ રહ્યા છે. આવાસની નજીકથી પસાર થતા ગ્રામજનોને પણ આ ખંડેર આવાસમાં ચાલતી ગેર પ્રવૃત્તિઓને લઇ ભય સતાવી રહ્યો છે.