રહીશો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો
પાલનપુરમાં પીવાના પાણીની પાઇપમાં લીકેજ રીપેર કરવા જતા ખોદેલ ખાડાના લીધે લાઈટનો થાંભલો નમી જતા આસપાસના રહીશોમાં ડરનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ યુ.જી.વી.સી.એલ. ને કરતા લાઈટનો પુરવઠો બંધ કરીને સમારકામ હાથ ધર્યું હતું.
પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં રોકડિયા હનુમાનથી આકેસણ તરફ જતા રોડ પર એક જગ્યાએ નગરપાલિકા દ્વારા પીવાના પાણીની લીકેજ પાઈપનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જે સમયે જમીન ખોદતા બાજુમાં ઊભેલો યુ.જી.વી.સી.એલ. નો થાંભલો અચાનક નમી પડ્યો હતો. થાંભલો નમી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક રહીશોએ યુ.જી.વી.સી.એલ.ને કરી હતી. વળી મુખ્ય રોડ હોવાથી સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોવાથી રોડ પર જતા કોઈ અકસ્માત ના સર્જાય તે માટે થઈને સ્થાનિકો દ્વારા રોડ બંધ કરી દઈ નમી ગયેલા થાંભલાને ઝાડ સાથે બાંધી દીધો હતો. થાંભલો નમી જતા લાઈટના વાયરો પણ ઢીલા પડી ગયા હતા. વાયરો તૂટી કોઈ અકસ્માત ના સર્જાય તે માટે યુ.જી.વી.સી.એલ. ને જાણ કરતા લાઈટનો પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. યુ.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા સમાર કામ હાથ ધરી લાઈટનો થાંભલો ફરી યોગ્ય રીતે ફીટ કરી રાબેતા મુજબ લાઈટનો પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.તેથી તમામે હાશકારો અનુભવ્યો હતો.


